Monday, June 6, 2011

Spiritualism માને અધ્યાત્મ માને અંધત્વ

વેલ,હેવી ટોપિક સમજીને જાતને બોર કે ઠળિયા જેવી ન ગણતા,કેમકે આ સબ્જેક્ટ તમારી અંદર પણ છે જ.લોહીની સાથે,વિચારોના ઘૂઘવતા સમંદરમાં વિદ્યમાન છે.હજારો વર્ષોની પરંપરા એ આપણામાં પલાયનવાદ રૂપે એનું ઘડતર આપણા સૌમાં કર્યું છે.આત્મા અમર છે અમર છે અમર છે.મારું શરીર મરી ગયા પછી મારા આત્મા ને શું બેંકમાં ડીપોઝીટ કરવા માટે રાખવાનો છે?જરા યાદ કરો એ સ્થળ,જેને સ્મશાન કહેવામાં આવે છે, સ્ત્રીઓ બાળકો માટે હજી સુધી વર્જિત છે એવા એ ક્ષેત્રમાં કોઈ નજીકના દુરના સ્વજન-મિત્ર વગેરેને બાળવા[હા એમ જ..વેવલાવેડા સિવાયની વાત થાય છે!] ગયા હો છો ત્યારે બળતી ચામડીના લોંદામાંથી હાડકું ખરી પડે છે ત્યારે કયું અધ્યાત્મ,કયું પ્રવચન,કયો બાપુ-બાવો,કયો સંપ્રદાય આડો આવે છે એ જાતને પૂછ્યું છે ક્યારેય?આટલા ક્ષણ-ભંગુર દેહને ઉપવાસો કરી કરીને એટલું નમાલું બનાવી દઈએ છીએ કે આ શરીર મર્દોને બદલે સુંવાળા,પોતાના જ પેશાબમાં થુંકી પણ ન શકનારા, થોડીક ઠંડી વધે ત્યાં બાટલા ચડાવવા પડે એવા ક્યુટ ક્યુટ અમેરિકન દેશી બેબીઝ જથ્થાબંધના ભાવે પેદા કરી દે છે.'બાબાને RO નું જ પાણી પીવડાવવું પડે છે.' હા,કેમકે બાબાને તો ઓલા બાબાની બનાવેલી દેશી દવાની આડઅસર થાય એટલું "બળવાન બોડી" છે.

અધ્યાત્મ કઈ જાદુટોના નથી.એની આયુર્વેદની જેમ ધીમી પણ મક્કમ અસર છે.એ માણસને પહેલા અંદરથી ઠીક કરે છે,પછી બહારથી.જે માણસ અધ્યાત્મ અને ધર્મને મિક્સ કરે છે એના આંટા ઉંધા ફરે છે કેમકે અધ્યાત્મ મનને સ્પર્શે છે જયારે ધર્મ દૈહિક ઉન્નતી તરફ નિર્દેશ કરે છે.એક બાવો ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે તમે જ તમારા ઉદ્ધારક બનો,જયારે બીજો બાપુ ડાહી ડાહી શિખામણો આપીને માનસિક ડાયાબીટીસ કરાવી દે છે.સરવાળે,કોઈનું ભલું થતું નથી ને પ્રજા મહ્ઝ ગધેડાની માફક ડફણા વગર માનતી નથી.અહી શેરીના નાકે તમને ઉપનીષદોના નામે કોર્નર પર માવો થૂકીને ઘરમાં જોહુકમી ચલાવતા ખડૂસ વૃદ્ધો પણ મળી રહે છે અને કચરો વાળતી કોઈ દાદી ચુલા અને લાકડાનો કાર્ય કારણનો સંબંધ વગર પૂછ્યે સમજાવી શકે એટલું અધ્યાત્મ સામાન્ય લોકોના લોહીની સાથે દોડી રહ્યું છે.

તેત્રીસ કરોડ દેવતાઓમાંથી દરેક જ્ઞાતિને પોતપોતાના હીરોની મૂર્તિ ઈઝીલી અવેઈલેબલ છે એટલે સમય[/સમસ્યા] આવ્યે પ્રજા શાહમૃગ કરતાય વધુ ઝડપે પોતાનું મોઢું કાન સહીત બોરવેલમાં ખોસી દે છે કેમકે જીભ તો એમેય પહેલેથી બંધ છે ને...અધ્યાત્મ મન શાંત કરે છે,ધર્મ જીભ-હાથ જેવા અવયવો શાંત કરે છે.ગુજરાતી પ્રજાનો મૂળભૂત ધર્મ જો કે પૈસા અને પ્રસિદ્ધિ છે એટલે એટલીસ્ટ એ મામલે આ લોકો ઝનુની તો છે.ફોર અ ચેઈન્જ,ઉપવાસની જેમ એ લોકો ધર્માદો કરી લે છે.[ફોટા ન્યુઝ સાથે જ હો...!] આટલું અધ્યાત્મ જ ખબર છે ભારતની જનતાને..તોય તત્વમસી એ કઈ સીધોસાદો શબ્દ નથી..સમગ્ર પ્રજા કોઈક અદ્રશ્ય તાંતણે બંધાયેલી છે.કોસ્મિક હાર્મની અહીં જીવતા જાગતા માણસો અબુધ રીતે ફોલો કરે છે.વિદેશની ધરતી પર કોઈ ભારતીય મળે ત્યારે તું બેંગોલી,હું ગુજરાતી જેવો અહંકાર 'હું પણ ભારતીય'ના શેઈક હેન્ડમાં ઓગળી જાય છે...અને આ જ મેજીક છે કે ભારતીય અધ્યાત્મ[દરેક અર્થમાં] નેચરને પ્રાધાન્ય આપે છે...પછી એ પ્રકૃતિ હોય કે સ્વભાવ હોય...ઇટ રીઅલી રોક્સ ડીપલી સમવ્હેર...

પાપીની કાગવાણી:

ક: ત્વં?[તું કોણ છે?] જવાબ= તત્વમસી[તું એ છે.]
   

Friday, June 3, 2011

Thought- વિચાર - ઘૂઘવતા સમુદ્રની મઝધારે થતી મુંઝવણ

વિચાર એટલે શું?કશુક કરવા માટેની પૂર્વતૈયારીનું માનસિક ચિત્ર?એમનેમ લાગણીઓને લીધે ચડતી ઘૂરી?જવાબ આસાન નથી કેમકે એને માટે પણ વિચાર કરવો પડે.મુદ્દો છે વિચાર કરતી વખતે થતી પરિકલ્પનાનો અને ખુલ્લી/બંધ આંખોથી થતી વિઝનીક ઉડાનનો.મન વિચાર નામના કોન્કોર્ડ પ્લેન પર સવાર થઈને ચુટકી બજાકે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી જાય છે.વિચારની તાદાત દૈનિક બે હજાર જેટલી હોય છે એવું સ્વ.નીરુબહેન અમીન કહેતા.દરેક વિચાર કઈ રીતે ક્યાં અસર કરે છે એની ખુદ વિચાર કરનારને પણ ખબર નથી હોતી.દરેક વિચાર મગજને જરૂરી નથી લાગતો હોતો.અને એટલે જ ક્યારેક જ કોઈ વિચાર આઈડિયા બને છે અને 'ક્લિક' થાય છે,આ પ્રક્રિયા બહુ જ જટિલ છે.વિચારનું ઉદ્ગમ ક્યાં છે એ હજી સુધી કોઈ નથી જાણતું. ઘણીવાર વિચાર ઉછીનો હોય છે અને સમગ્ર વ્યક્તિત્વને અસર કરી જાય છે ત્યારે એમાંથી એક નવું જ વ્યક્તિત્વ બને છે જે આભાસી હોય છે.કેમકે એ આગલા ઉછીના વિચારની અસર તળે બન્યું છે.શું આવા માણસને આપણે જીવંત રોબો કહીશું?

સામાન્ય ભાષામાં સમજીએ તો વિચાર જ્યાંથી પણ પ્રગટ થાય છે એ  મગજ/મન ટ્રાન્સમીટર છે.ત્યાંથી વિચાર ટ્રાન્સમિટ થાય છે અને સમગ્ર વિશ્વચેતનામાં છવાઈ જાય છે.રોજના આવા હજારો કરોડો વિચાર એક યા બીજી રીતે માણસને પ્રભાવિત કરતા રહે છે.એમાંથી મોટાભાગના વિચાર શરીરની ફિલ્ટર સિસ્ટમ ચાળી નાખે છે.કોઈ પણ સર્જન એક રીતે વ્યક્તિના પોતાના જ્ઞાન-બેઝ અને આવી વૈશ્વિક ચેતનાના આંદોલનને આભારી હોય છે.વિચાર,સૌથી વધુ અવરોધક અને જળો કરતા પણ વધુ સજ્જડ રીતે ચોંટી જતો પરોપજીવી છે.[સૌજન્ય :ઇન્સેપ્શન] એકવાર એ મગજમાં ઘુસી ગયો,છાલ પણ નથી છોડતો.સામાન્ય રીતે ડ્રીમલેસ ઊંઘ કોઈ નોર્મલ માણસને નથી આવતી.પણ જો એ આવવાનું શરુ થાય તો એને પણ સાઈકોલોજી ગરબડીનું સુચક ગણે છે.ક્યાંક તમારી સબ-કોન્શિયસ ડીફેન્સ નબળી છે એનું આ એલર્ટ સિગ્નલ છે.ડીટ્ટો વિચારશૂન્યતા.  ડીપ્રેશનની અસર હેઠળ આવું થતું હોય છે.કોઈ સ્વજનથી વિયોગ,કોઈનું મૃત્યુ એટસેટરા...કશુક વાંચ્યા પછી જો વિચારશૂન્યતા આવતી હોય તો એ સારું છે કેમકે બ્રેઇન-સ્ટોર્મિંગ સ્ટાર્ટ થયા પહેલાની એ શાંતિ છે.કશુક કાને પડી જાય અને દિલોદિમાગ તરબતર થઇ જાય કે ઝક્ઝોરાઈને બધું મૂંગું-મંતર થઇ જતું હોય તો એ જાત સુધરવાની નિશાની છે.અને ઓફિસમાં કામ વગર બેસી રહેવું પડતું હોય તો એ જોખમકારક છે.

આવું થાય ત્યારે પોતાની અંદર ઝાંકતા રહેવાની ટેવ ફાયદો આપી શકે.વિચારશૂન્યતા પોઝીટીવ હોય કે નેગેટીવ,બહુ વાર રહેવા દેવાય નહિ.મગજ પોતે જ કશુક કરવા ટ્રાય કરે છે.અને જયારે એમાં એ ફેઈલ જાય છે ત્યારે શરીર પર એની અસર વર્તાવા લાગે છે.પોતાના જુના શોખને જગાડો,ઢંઢોળો અને જરૂર પડે લાત મારીને ઉઠાડો.રાઈટર થી લઈને કોર્પોરેટ એક્ઝીક્યુટીવ્સને આવી વિચારશૂન્યતા/બ્લોક/ડીપ્રેશન બધું જ અથવા કોઈ પણ એક લાગુ પડી શકે છે.આ મામલે ઉપનિષદ સરસ ઉકેલ આપે છે.'સવાલો પૂછવા કરતા તું જ તારો જવાબ બન.'



પાપીની કાગવાણી: 


એક ઘડી ભર નો ઉજાસ, અને ખાલીપો.
કલાકો નો અંધકાર, અને ખાલીપો.


થોડો સ્વાદ, થોડો આસ્વાદ, એક મીઠો સાદ ,
અને ખાલીપો.
બે ઘડી યારો નો સાથ, અને ખાલીપો.



ઘણું બધું ભેગું થાય, ઘૂંટાય, દબાય, ભીંસાય,
પછી જે મળે એ થોડો ધૂંધવાટ અને ખાલીપો.


થોડી સફળતા ની મજા અને ખાલીપો
થોડી નિષ્ફળતા ની સજા, અને ખાલીપો


હવે કોઈ પૂછશે આ કવિતા એટલે શું? 
આ રહ્યો જવાબ,
થોડા ગાંડા ઘેલા શબ્દો અને ખાલીપો...

-પ્રશમ ત્રિવેદી