Monday, November 30, 2015

Karl Marx- A Game Changer in the world

જી, શબ્દોની તાકાત સમજવા માટે મહાભારત રામાયણ પછી આ વ્યક્તિ સૌથી મોટું ઉદાહરણ છે. માત્ર લખીને જ જગતના અનેક દેશોમાં ક્રાંતિ ફેલાવી, સમૂળગું સત્તા પરિવર્તન આણનાર કાર્લ માર્ક્સ પોતે પણ ક્રાંતિકારી પરંતુ હકારાત્મક વિચારોમાં માનતા હતા.

કાર્લ માર્ક્સ એટલે સામ્યવાદ,એવું જ આપણે ભણ્યા છીએ. પરંતુ, ખાલી સામ્યવાદ એ જ એમનું અંતિમ લક્ષ નહોતું. એક જ વાક્ય આજના યુગમાં ય પ્રસ્તુત છે.

"જ્યાં સુધી સમાજમાં બે ભિન્ન વર્ગો છે,ત્યાં સુધી એમની વચ્ચે સંઘર્ષ ચાલતો રહેશે."

More on Matrubharti App.. keep reading :)

Wednesday, October 16, 2013

મહોબ્બત

'સુનતે હો ચુન્ની બાબુ, એક તવાયફ ઈશ્ક કી બાત કર રહી હૈ, અબ હમે ઇનસે સીખના હોગા કી મહોબ્બત ક્યાં હોતી હે, પ્યાર ક્યા હોતા હૈ, ઈશ્ક કિસે કેહતે હૈ?'

યુવાદિલ અને મહોબ્બત, આ બેય લગભગ પર્યાયવાચી છે. ઓરકુટ-ફેસબુક મિત્ર હિતેશ જોશીની આ નોટ જોઇને તણખો પેદા થાય છે.વાંચીને, અનુભવીને, સમજીને. યાદ રાખજો આ ત્રણેય શબ્દો એના ઓર્ડર મુજબ જ લખ્યા છે. https://www.facebook.com/notes/hitesh-joshi/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%95%E0%AB%81/738379756188192

ઇશ્ક,પ્યાર અને મહોબ્બત આપણી ભાષાના શબ્દો નથી.હા,અનુભૂતિ આખી દુનિયામાં સરખી છે. ત્રણેય શબ્દો નજીક નજીક હોવા છતાય અનુભૂતિના લેવલ પર સ્પષ્ટ રીતે જુદા છે. ખુદા સાથે પ્યાર થાય, એની સાથે ઈશ્ક ફરમાવી શકાય અને એની કાયનાત આગળ ઝૂકીને મહોબ્બત પામી શકાય છે. મહોબ્બત અને મુસ્તફા બેય સમાધિ જેવી સ્થિતિ છે. લાગી ગઈ સો પાર...કુંદન મહોબ્બત છે, એટલે જ ફના થવા તૈયાર છે. ઇશ્ક ફરમાવી શકાય છે,પ્યાર કરી શકાય છે, થઇ જાય છે અને થવા દેવો પડે છે. મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનાવેલો કાચો બાંધો છે. રો મટીરીયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્ઠીએ એને એવો ઘાટ આપ્યો છે. મહોબ્બત નિહાયત જઝ્બાત સાથે જોડાયેલી વસ્તુ છે અને એટલે જ દિમાગી ગણતરીઓ ત્યાં પડી ભાંગે છે. 

વિરહ અને મહોબ્બત પાકા દોસ્તાર છે.બેયની મૈત્રી કૃષ્ણ-સુદામા રેખી છે. વિરહ કાચ પાયેલી દોરીની જેમ કાળજે ઘા પાડતો જાય છે. વેઇટ કર્યા કરવાનું, એ ઓનલાઈન આવે ત્યાં સુધી, એ રીપ્લાય કરે ત્યાં સુધી,એ મેસેજ કરે ત્યાં સુધી, એ મિસકોલ મારે ત્યાં સુધી.... અંત નથી, છે તો બસ સાગર જેવડો અમાપ-અફાટ દિલી વિસ્તાર; જેમાં તમે એકલા છો. માથાડૂબ પાણીમાં શ્વાસ ગૂંગળાયા કરે પણ તમારી પર એટલો ભાર છે કે તમે એને ધક્કો મારીને બહાર આવી શકતા નથી. આ સત્ય છે. વરવું કહો તો વરવું, નગ્ન કહો તો નગ્ન અને ગળી ન શકાય એવું કહો તો એમ. પણ મુદ્દો એ જ રહે છે. સફર(હિન્દી)માં સફર(અંગ્રેજી) કરતા જવાનું. અને અમુક મહોબ્બત જીતે છે, ઘણીબધી મહોબ્બત હારી જાય છે. પણ એનાથી એનો જઝબો કે તીવ્રતામાં મામકા-પાંડવા નથી હોતું. ખાડે ગયેલી મહોબ્બત વ્યક્તિને ટોચ ઉપર બેસાડી દે છે કેમકે અંદરથી સળગતી રહેતી ચેતના એને કોલ્ડ બ્લડેડ બનાવી મુકે છે. 

પામી ગયેલી મહોબ્બત ઇન્દ્રધનુષી સપનાઓમાં ખોવાતી જતી વાસ્તવિકતા બની જાય છે. ખટમીઠાં સંસ્મરણો ત્યારે બચકું ભરતા નથી કેમકે એ અંતે તો પ્લેઝર છે, આનંદ છે. (હિતેશ, અહિયાં ધ્યાન રાખજે :) ) બક્ષીએ એકવાર લખેલું કે વહેંચાતો નથી ત્યારે પ્રેમ વિષાદી બની જાય છે. અને વિષાદી પ્રેમ ખતરનાક છે. ત્યાંથી બે ફાંટા પડે છે. એક- ક્રોધનું બોઈલીંગ પોઈન્ટ ત્યાંથી શરુ થાય છે, જેમાં બદલો લઇ લેવાની, દુનિયાને તબાહ કરી દેવાની લાગણીઓ ધધકતી હોય છે. બે- લાઈફનો એક ટુકડો ત્યાં રહી જાય છે.સદાને માટે. બળેલી ચામડી સાજી થાય ત્યારે રહી ગયેલા ડાઘ જેવો. ત્યાં જીવન શોધવું વ્યર્થ છે. ત્યાં જોયા કરવું પણ ભૂલભરેલું છે કેમકે એનાથી દિમાગ અને જીવન બેય બંધિયાર થઇ જતું હોય છે. માટે જિંદગી સિવાય કોઈનેય મહોબ્બત કર્યા જેવી નથી. હા, ચાલતા જાવ અને રાહબર મળે ને ક્લિક થાય તો બેશક એને જિંદગીનો આપેલો બીજો ચાન્સ ગણવો...

પાપીની કાગવાણી:

વહેતા રહેવાનું યાર, જિંદગીની સાથે...

- શશીકાંત વાઘેલા 

Thursday, June 20, 2013

મહા(આળસુ)જાતિ ગુજરાતી

હું,

હા હું એક ગુજરાતી છું. ગુજરાતી હોવાની મારી પ્રથમ લાયકાત એટલે આ જે બહારની વિદેશી કંપનીને સારા પૈસા આપીને લેપટોપ ખરીદેલ છે એના પર વિદેશી કંપનીએ સ્ટાર્ટ કરેલી ગુજરાતી ભાષાના સોફ્ટવેરથી આ ટાઈપ કરું છું. હું ગુજરાતી છું એની બીજી લાયકાત એ કે હું ગમે એ સ્થળે,જ્યાં બસ,ટ્રેઈન,વિમાન,ક્રુઝ જઈ શકે ત્યાં પૂરતા રૂપિયા ઉડાવીને પહોચું છું અને પછી નિરાંતે થેપલા,અથાણાના ડબ્બો ખોલું છું કેમકે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ ને મેં ખરેખર બહુ જ સીરીયસલી લઇ લીધી છે. હું તરત ગણતરીઓ માંડી દઉં છું કે આમાં આપણને કેટલી ખોટ આવશે અને પડતર કેટલું થશે? હું કરકસર કરીને જીવું પણ બહાર ફરવા આવું ત્યારે બેફામ રૂપિયા ઉડાડું.પણ જેવી કોઈ આપત્તિ આવે તો હું સેવા માટે દોડવામાં પહેલો હોઉં.

હજી હમણાં જ ઉત્તરાખંડમાં મારા પાંચેક હજાર સાથીઓ ફસાયા છે.પણ એ અમારા માટે જાત્રાનું સ્થળ છે. મને ટ્રાફિકના નિયમો પાળવામાં પણ આળસ આવે ને આવી જગ્યાએ ફસાયા હોઈએ ત્યારે શું કરવું એની ટ્રેનીંગ લેવામાં પણ. હું અબુધની જેમ ફસાઈ જાઉં છું. મારા રાજ્યમાં પર્વતો બહુ જુજ છે,ને એમાંય મેં એને દારૂ,દુઆના અડ્ડા બનાવી દીધા છે એટલે એ રીતે પણ મેં મારી જનરેશનને કેળવી નથી કે આ માત્ર જાત્રાનું નહિ, ટ્રેકિંગનું પણ સ્થળ છે. કોઈ પણ જગ્યા એ આફતમાં ફસાઈને ઘાંઘો થઈને બીજા બે ત્રણ ને લઈને ડૂબી મરું છું. જંગલોમાં ફરવાની ટેવ અને સતત 'મને તો કમ્ફર્ટ જ ફાવે'ની માનસિકતા એ મારા શરીરને હાડમારીઓ વેઠવા જેટલું સક્ષમ નથી બનવા દીધું.હું માનસિક રીતે મજબુત છું,પણ શારીરિક રીતે પાંગળો છું. જંગલમાં ફરું છું, પણ જાણકારીનો સદંતર અભાવ છે કેમકે વાંચવાની ટેવ જ નથી.અરે, ટીવીમાં પણ રીયાલીટી શો જ ગમે છે મને. 'મેન વર્સીસ વાઈલ્ડ' જેવો પ્રોગ્રામ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે છે એવી મને ખબર જ નથી.

કસરતી શરીર જોવામાં જ સારું લાગે, એના કરતા પૈસા બનાવવાની કસરત મને વધુ માફક આવે છે. જેને લીધે મેં રીમોટ,સેલફોન અને ચા ની રકાબી રાખી શકું એટલી ફાંદ વિકસાવી છે. આખા ભારતમાં ફાંદ વિકસિત લેવલે હોય એવું માત્ર ગુજરાતમાં જ છે.હઓ..હું ધર્મો/ટ્રસ્ટોમાં કાયમ દાન દીધે રાખું, પણ કેમ્પિંગ/બાઈકિંગ કે ટ્રેકિંગ જેવા સ્પોર્ટ્સ માં હું નહીવત રસ લઉં છું.ટાઈમ નથી યુ નો...મારે તો દિવસના ત્રણ ચાર માવા જોઈએ.સોદા અને સોડા વગર દિવસ જ પુરો ન થાય મારે.

અને પછી ગીરનાર જેટલું શરીર ખડકાય જાય એટલે હું રોજ સવારે જોગર્સ પાર્કમાં હાંફતા હાથીની જેમ દોડું.પરસેવે રેબઝેબ થાઉં એટલે નજીકમાં નીરો પીં ને મદ્રાસી લારી પર મેંદુવડા-ઈડલી-સંભાર 
ઝાપટું.પાછો બ્રેકફાસ્ટ ન પડવો જોઈએ યુ સી...

અને આહાહા,વરસાદી સીઝનમાં હું જરાકેય પ્રિકોશન ન લઈને ગાડી-બાઈક-મોપેડને મીકેનીકને હવાલે કરું અને એ કહે એટલા રૂપિયા ગણી દઉં.અને એ રીપેર કરતો હોય ત્યારે બાજુની લારી પર દાળવડા-મરચા-ભજીયા ઉડાડું.પાંચસો ગ્રામ મારા અને બાકીના કિલો ઘર માટે....

હા,હું એ ગુજરાતી છું , પ્રમાદી છું, પ્રવાસી છું,સાહસી છું...
.
.
.
.
.
.
.
.
.
.
.
..અને સૌથી વધુ આળસી છું....

Monday, May 13, 2013

ભાવનગર- આજ અને આવતીકાલ



ભાવનગર- અખાત્રીજને દિવસે સ્થાપિત શહેર. સૌથી વધુ સર્કલ્સ હોય એવું ગુજરાતનું બીજા નંબરનું શહેર, રથયાત્રામાં શહેરની વસ્તીમાં બીજા 5000 લોકોને ગણતરીમાં લેવા પડે એટલા તૈનાત પોલીસ જવાનોથી ખદબદી ઉઠતું શહેર, રોજ સવારે મોર્નિંગ વોકમાં ચાલતા લોકો સાથે આળસ ખંખેરતું શહેર, પાઉં-ગાંઠીયા ચટણી સાથે દુનિયાભરની સહ્ટાળી ઠોકતું શહેર, સમગ્ર સૌરાષ્ટ્ર પેનિન્સુલામાં સૌથી મોટો શીપ બ્રેકિંગ યાર્ડ હોવા છતાંય સૌરાષ્ટ્રમાં ન ગણાતું સૌતેલું શહેર, ગોહિલવાડ-ભાવેણા-સંસ્કાર નગરી હોવા છતાંય ધોળે દિવસે રેઈપ થતું શહેર, પેન્શનર્સ માટેનું પેરેડાઈઝ અને વિદ્યાર્થી અહીંથી બીજા સીટીમાં જાય ત્યારે એલીયન હોવાનો એહસાસ કરાવે એવું શહેર, શેરડીના રસમાં એક્સ્ટ્રા બરફ નંખાવતું અને પછી ડોક્ટર હાઉસના ચક્કર કાપતું શહેર, લાભુની ચા અને ઘોઘા સર્કલના ‘નીરો’માં પીવાતું શહેર...!!!

શોક્ડ? આ છે ભાવનગરની આજ.એ આજ જે કદાચ અનંત ‘કાલ’માં તબદીલ થઇ શકવાની ક્ષમતા ધરાવે છે. ડર એ છે કે જો આ આજ;કાલ બની જશે તો શું થશે? પણ જેમ દિલમાં ઉઠેલા દર્દની દવા સહેલી નથી એમ જ આવતીકાલની ભયાનક કલ્પના પણ સહેલી નથી. શું છે આ આજમાં? દર પાંચ દિવસે પાણીનો કકળાટ? મ.ન.પામાં કચરા-પાણી-ગંદકીના પ્રશ્ને થતું ‘બંગડી પ્રદર્શન’? સુંદરાવાસ?વિક્ટોરિયા પાર્ક? ચીતરેલી દીવાલો?કલાનું ધામ હોવા છતાંય મુઠ્ઠીભર કલાકારોના જ બનેલા ચોકા? પ્રશ્નો અનંત છે કેમકે જેમ કાલને પીછાણવી સહેલી નથી એમ જ આજને પકડવી પણ સહેલી નથી. બધું ક્યારેય ખરાબ હોતું નથી, સારું હોતું નથી. હા, નજરીયો અને વૃત્તિ ખરાબ સારી હોઈ શકે. આ એ જ શહેર છે જ્યાં સરદાર પટેલ પર હુમલો થયેલો અને આ એ જ શહેર છે જેના મહારાજાએ ‘વન ઇન્ડિયા’ પ્લાન માટે પોતાનું રજવાડું સૌ પહેલા સરદારને જ સમર્પિત કરીને નેશનલ લેવલ પર નોંધ લેવડાવી હતી. વિરોધાભાસ ક્યા શહેરને નથી નડતા? ભાવનગરની આજ એવા લોકોથી ભરેલી છે જેના પર ગૌરવ પણ આવે અને ફિટકાર પણ. મિશ્ર ફીલિંગ્સ તો કોઈ માટે લવ છે કે નહિ એમાંય નડતી હોય છે,આ તો શહેર છે. ચાર્મિંગ ચિંતક શાહબુદ્દીનભાઈ કાયમ કહે છે કે વતનની મહત્તા સમજવી હોય તો એનાથી દુર જવું. વાત મુદ્દાની છે. કેટલા લોકો વતનમાં પાછા ફર્યા? હીરા ઉદ્યોગ તો જાણે વૃંદાવન ત્યજીને ગયેલા કૃષ્ણની જેમ સુરત જતો રહ્યો. અલંગ શિપબ્રેકીંગ યાર્ડનું ભવિષ્ય કેટલા યાર્ડ સુધી દેખાય છે? નવા બંદર, જુના બંદર વચ્ચે અટવાતો મજુર કદાચ કાલે મીઠું ખાઈને ગુજારો કરવાને બદલે સમૂળગું શહેર જ છોડી દે એવું વર્તાય રહ્યું છે. એવું નથી કે આજે આજ આટલી બધી ખરાબ છે. પણ હા,આ આજમાં એક યક્ષ પ્રશ્ન બધાયના મનમાં ઘુમરાઈ રહ્યો છે. શું ભાવનગર એટલું બધું પછાત છે કે કોઈ વિકાસ કરવા જ નથી ઈચ્છતું?કે પછી અહીયાના માઈન્ડસેટ બીજા શહેરોની સાપેક્ષે સદીઓ પાછળ છે? કેમ કોઈ અમદાવાદ-વડોદરા જેવા શહેરોની છોકરી ભાવનગરમાં જન્મેલા અને એનાથી ઇન્ટેલીજન્ટ છોકરાને પરણવા નથી ઇચ્છતી? કેમ અહિયાથી લોકો કમાવા બીજે જતા રહે છે અને પછી વેકેશન ગાળવા ગામડે જતા હોય એમ અહીંયા આવે છે?

વેલ, ફરિયાદો ફરિયાદો ફરિયાદો. આ બધાની વચ્ચે પણ એવા અનેક લોકો છે જે ભાવનગરની ભૂમિમાં ઉગ્યા અને ભાવનગરને ઉજાળતા રહ્યા-ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ. આ આજને અહીં સુધી ઉજળી રાખવામાં ઘણાબધા નામો છે પણ થોડા સાદર ક્ષમા સાથે- રાજકીય ક્ષેત્રે મહારાજા ભાવસિંહજી, મહારાજા તખ્તસિંહજી,મહારાજા કૃષ્ણકુમારસિંહજી,દીવાન સર પ્રભાશંકર પટ્ટણી, કલામાં ‘ચિત્રસ્થ’ કલાગુરુ ખોડીદાસભાઈ પરમાર, નૃત્ય યુનિવર્સીટી સમા શ્રી ધરમશીભાઈ શાહ, ગાયક શ્રી રાજેશભાઈ વૈષ્ણવ, મોહંમદભાઈ દેખૈયા...અને આવા અગણિત લોકો કે જેમણે ભાવનગરની ભૂમિને પોતાના શ્રેષ્ઠતમ વર્ષો આપીને એને ઉજળી રાખી. લેટ્સ કમ ટુ પ્રેઝન્ટ. હવેની પેઢી? એજ ઓર્ડરમાં જોઈએ તો શક્તિસિંહ ગોહિલ, જીતુભાઈ વાઘાણી, કલામાં કાજલબેન મૂળે, નીપાબેન ઠક્કર, મધુકરભાઈ ઉપાધ્યાય,સાયન્સ ક્ષેત્રે ડૉ.પંકજ દોશી.. એ પેઢી પોતાના પુર્વસુરીઓના નકશે કદમ પર ચાલીને નવા અને યુવાનીને છાજે એ રીતે પ્રયોગશીલ રહીને કામ કરી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં ભાવનગરની આવતીકાલ તાંબાવરણી છે. ટ્યુશનપ્રથાના વધેલા જોર સામે શાળાઓ પોતાનાથી થાય એટલું કરી રહી છે. પરંતુ, ક્વોલીટી એડ્યુકેશન હવે બાષ્પ બની રહ્યું છે ત્યારે આ શાળાઓ કે ટ્યુશનનો વાંક કાઢવાનું ભૂલભરેલું છે કેમકે હવેનો વિદ્યાર્થી ફેસબુક જનરેશન છે. બધી માહિતી ઈઝીલી ઇન્ટરનેટ પર અવેઈલેબલ હોવાથી એને સ્કુલે જવું એટલું રોમાંચભર્યું નથી લાગતું. એ કન્ફ્યુઝ્ડ છે,પરંતુ બેઈમાન નથી. એ બીવે છે કેમકે સારી શાળામાં એડમિશન નહિ મળે તો માર્ક સારા આવશે નહિ. આયે દિન ટ્યુશન ક્લાસ ખુલે છે અને એ વધુ ને વધુ કન્ફયુઝ થતો જાય છે. નતીજા- લુઝ બનેલી કેરીયર જે એના ભવિષ્યને ટાઈટ કરી દે છે.

આવી આજ સામે આવતીકાલ કેવી ભાખીશું? વેલ, ભાવનગર માટે એવી માન્યતા છે કે અહીના લોકોને બીજા એક પણ શહેરમાં ફાવતું નથી. આનો જવાબ બીજા શહેરમાં જઈને ત્યાં સેટ થઈને એની સંસ્કૃતિના બની જવું હોઈ શકે? તો એનાથી ભાવનગરને શું ફાયદો? અરે ત્યાં રહીને ભાવનગરના હોવાનું વટ કે સાથ જાહેર કરો અથવા વતન માટે કૈક કરો.કૈક બંધાવો,સેવાના કાર્યો કરો એટસેટરા. દેશથી દુર રહો છો? તો ભાવનગરમાં આવીને વતનની મહેક માણો, થોડા ઉદ્યોગો સ્થાપો કે જેથી તમારા પૈસા કોઈના માટે આશીર્વાદરૂપ બને. અચ્છા, પર્યાવરણ સુધારવું છે? પોતાના મૃત સ્વજનોની યાદમાં બચ્ચાલોગ માટે પાર્ક બનાવો, વૃક્ષો વાવો. અને માઈન્ડવેલ, આ બધા વિચારો આજના છે,જેને અમલમાં મુકવાથી આવતીકાલ અફકોર્સ સુધારશે. આવતીકાલ સારી બને એ માટે કેટલીય સંસ્થાઓ ઓલરેડી કામ કરવા લાગી છે. જેમકે બળવંત પારેખ વિજ્ઞાનનગરી. સાયન્સમાં બાળકોને રસ પડવો જરૂરી છે,એના માટે આયમેક્સ થિયેટર હોવા જરૂરી નથી. લોકો અહીંયા પુષ્કળ વાંચે છે,પરંતુ લાયબ્રેરીની જાળવણીમાં થોડા આળસુ છે. તો એકાદ લાયબ્રેરીને દત્તક લો,મેનેજમેન્ટ સુધારો.પબ્લીકને બધું જોઈએ જ છે,કોઈ આગળ આવે એના કરતા તમે જ આગળ આવો તો આપોઆપ સાથીઓ હાથ મેળવશે. યાદ કરો ગંગાજળિયા તળાવ સફાઈ અભિયાન. મુઠ્ઠીભર લોકો આગળ આવ્યા અને પછી તો ધબધબાટી થઇ જાય એ હદે લોકોએ સાથ આપ્યો. આ સ્પીરીટને સલામ છે,આ વૃત્તિને નમન છે. આ વૃત્તિ,આ સ્પીરીટ માત્ર થોડા લોકો સુધી જ રહે તો આવતી કાલ કેમ સુધરે?

હવે આવે છે થોડા અંગત સપના, જે રાજકોટ ભણતી વખતે ભાવનગર માટે જોવાયા હતા. આ સપના રીયાલીટી બની રહ્યા છે. પહેલા તો અનુષ્કા શર્માના ગાલ જેવા રસ્તાઓ હોય કે જેથી ટ્રાન્સપોર્ટ સેવા ચકાચક રહે. ભાવનગરમાં મોટી મોટી બ્રાન્ડ્સનું આગમન પણ એ સપનાઓનું ભાગ હતું. અદ્યતન હોસ્પિટલ્સ, ટ્રાફિક નીયમન એ બધું સપનાઓનું જ વિશ્વ હતું જે આજે મહદ અંશે સાકાર થઇ રહ્યું છે. પરફેક્ટ સીટી ક્યારેય સંભવી જ ન શકે પરંતુ એ પરફેક્શન પામવાની મથામણમાં ઘણું ઘણું સારું થઇ શકે છે. જેડ બ્લુના શો રૂમની અડોઅડ જ એપલ નો શો રૂમ હોય તો એ ટેકનોલોજીમાં ભાવનગર માટે સારી કાલ છે. અને શો રૂમ જ શું કામ? સામ પિત્રોડા સર આવીને ટેકનોલોજી પર લેક્ચર લે અને એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી પૂછીને એમને હેરાન કરે તો એ શિક્ષણની સારી આવતીકાલ ગણી શકાય. બિલ ગેટ્સ[માઈક્રોસોફ્ટ] કે લેરી પેજ[ગુગલ] ભાવનગરની કોલેજીસમાં પ્લેસમેન્ટ માટે આવે તો એ આપણું અને વિદ્યાર્થીઓનું પલંગતોડ માર્કેટિંગ/બ્રાન્ડિંગ કહેવાય કે જેનાથી ભાવનગર સદા ઓળખાય અને તો આવતીકાલ ઉજળી કહેવાય. એક બાજુ જૈન મુનીજીની ધર્મસભા ચાલતી હોય અને બીજા હોલમાં વિદ્યાર્થીઓ ટેસ્ટ આપતા હોય એ કાલ બહુ સુહાની છે. સાયન્ટીસ્ટસ્ અહીની વેધશાળામાં સંશોધન કરીને એકાદો ગ્રહ શોધી કાઢીને એને ‘કૃષ્ણકુમારસિંહજી ગ્રહ’ એવું નામ આપે ત્યારે ભાવનગરની ભૂમિ સાયન્સના મામલે વર્લ્ડની આવતીકાલમાં પોતાનું સ્થાન જમાવી શકે. એકાદો મસ્ત ડિઝનીલેન્ડ થીમ પાર્ક હોય જ્યાં બચ્ચાલોગ પોતાની જીન્સ કુર્તીમાં સજ્જ મમ્મીઓને લઈને રમે. ફિટનેસપ્રેમી જનતા અને જનરેશન હોય કે જેનાથી સ્પોર્ટ્સમાં જથ્થાબંધના ભાવે પ્લેયર્સ અને વિનર્સ પેદા થતા હોય. એકાદ બે વિશ્વકક્ષાના ફૂટબોલ સ્ટેડીયમ હોય કે જેનાથી FIFA Cup પણ અજાણ ન હોય. શું ઉમેરવું અને શું બાદ કરવું આ આવતીકાલમાં? પણ હા, કબુલાત જરૂર ઉમેરવાની છે કે આ એક હાડોહાડ ભાવનગરીના છોટી સી આશાવાળા સપના છે. 

આ બધા ઘોડા દોડાવવાનું બહુ ગમે,નહિ? રોઝી રોઝી વિચારો અને એવા જ હસીન સપના. વિચારેશુ કીમ દરિદ્રતામ? પણ એક વાત જરૂર પૂછવી છે આ વાંચનારને, એના અમલીકરણ માટે શું અને કેટલું કર્યું? પેલી જાહેરાતમાં દિયા મિર્ઝા કહે છે ને- I have done my bit. તમે એ bit માટે શું કર્યું? શેવરોલેની ગાડીમાં ફરનાર અને હાથમાં ચાર પાંચ વીંટીઓ પહેરનાર વ્યક્તિ પણ કશાક સારા માટે કન્ટ્રીબ્યુટ કરવા રાજી નથી.શું કામ એવો સવાલ પુછશો તો કહેશે- અરે જવા દો ને યાર.આના કરતા શેરમાં રોકવા સારા. જો હું મારા આંગણાનું ઝાડ કાપી નાખું તો મારે એવી ફરિયાદ કરવાનો બિલકુલ હક નથી કે મારે ત્યાં તડકો સાલો બહુ પડે છે. આ માનસિકતા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આવતીકાલ શું, આજની પણ વાતો કર્યા જેવી નથી. હજી પણ ‘એક સોડાના બે ભાગ’ હશે ત્યાં સુધી આવતીકાલ નહિ બદલાય. સવાલ સ્વ-પ્રગતિનો નથી,સવાલ છે વતનની સાથે જોડાયેલી લાગણીનો. માં ગમે એવી કદરૂપી હોય, તોય એણે તમને અત્યાર સુધી આપ્યું છે તો ઈટ્સ યોર ટર્ન નાઉ. સમય પાકી ગયો છે એ વિચારવાનો કે જયારે તમારા સંતાનો તમને પૂછશે કે હે મમ્મી ડેડી, તમે આ સીટીથી આટલા ત્રાસો છો તો કાંઈ કર્યું કેમ નહિ?

જવાબમાં નિરુત્તર રહેવું ગમશે તમને? જો હા, તો આ નિબંધ અને એના શબ્દોની અસર એવી જ થઇ માનજો જેવી એક ફૂંકની આંખની પાંપણ પર થાય. જય ભાવનગર...

પાપીની કાગવાણી:
ભાવનગરની આવતીકાલ કોનાથી બદલાવાની છે કહું?
.
.
- આ લેખ જેના જેના હાથમાં છે એનાથી.           

Friday, November 18, 2011

નુર ઉન અલ્લાહ...!!!

'કિતની ઝબાને જાનતી હો? '

'વો ઝબાન, જો મર્દો કો બેઝુબાન બના દે'

જેબ્બાત...ઔરત કા જલવા બાબુ ભૈયા, ઔરત કા જલવા...જય વસાવડાના શબ્દોમાં કહીએ તો 'સ્ત્રી વિચાર કરતી નથી, પણ પુરુષને વિચારતો જરૂર કરી મુકે છે.' શું ખરેખર એવું છે? Let's have a look.. જગતભરમાં યુદ્ધો થયા એના માટે કા તો સત્તાલાલસા જવાબદાર હતી કા સ્ત્રી...હેલન ઓફ ટ્રોય, દ્રૌપદી, ક્લીઓપેટ્રા વગેરે વગેરે..એવું તે શું છે કે સ્ત્રી માટે પુરુષ આખી દુનિયાને ઉપરનીચે કરવા તૈયાર થઇ જાય છે? કદાચ આ ઉત્ક્રાંતિએ શીખવ્યું હશે. પણ આજે વાત કરવાની છે એક એવા ફ્નકારની કે જેને ખુદા એ ચીન્ધેલું કલાનું માધ્યમ સાંગોપાંગ ઉતરી ગયું છે, ફનકાર તો અંધારા અજવાળાની પેલે પાર પહોચી ગયા છે પણ એમણે આર્ટની સીમાઓને બેરહેમીથી કચડીને સમગ્ર ભારતીય અધ્યાત્મને વિશ્વફલક પર મૂકી દીધું.    

આર્ટ,મ્યુઝીક,મહોબ્બત બધું સબ્જેક્ટિવ છે,એને ઓબ્જેક્ટીવ બનાવો તો ભવાડા શરુ થાય જ.જે રીતે એ બન્યું છે એને એ રીતે જ જોવાથી વધુ મજો પડે એ નિર્વિવાદ છે. પણ કેટલાક વાંકદેખા લોકો પ્રેમ,કલા અને મ્યુઝીકના નામે 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ' કહીને જ ઠોક બજાકે પોતાનું બધે પ્રસ્થાપિત કર્યા કરે છે. પ્રેમ,કલા અને એ બધું જ કોઈક દિવ્યશક્તિ તરફ લઇ જવાનો માર્ગ છે. પૂછો ગોપીઓને. શ્રી કૃષ્ણ માટે એમને હળાહળ પ્રેમ સિવાય કશું હતું? શ્રીકૃષ્ણ એ પહેલી વાર એ સાબિત કર્યું કે ભક્તિ કે જ્ઞાન સિવાય પણ ત્રીજો માર્ગ છે પ્રભુ સુધી જવાનો.. એ છે પ્રેમ.પ્રભુને ચાહતા શીખો તો એ પણ તમને દિવ્ય પ્રકાશ તરફ લઇ જાય છે. ડીટ્ટો આર્ટ. તમે કોઈ કલામાં,ચિત્રમાં, સ્કલ્પચરમાં, કેમેરામાં ખૂંપી જાવ ત્યારે તમને જે મળે છે એ પણ આનંદ જ છે. ઉપર લખ્યો એ સંવાદ છે મર્હુમ એમ.એફ.હુસૈન એ ડાયરેક્ટ કરેલી ફિલ્મ 'મીનાક્ષી- ધ ટેલ ઓફ થ્રી સીટીસ'ની. ફિલ્મ અદૃત છે, મ્યુઝીકમાં રહેમાન સિવાય બીજી કોઈ પસંદગી જ ન હોય એ નિર્વિવાદ છે. તબિયત ખુશ થઇ જાય એવું મુવી છે પરંતુ મુખ્ય વાત છે અહીં એમાં રહેલા રંગોની. યેસ્સ, હુસૈન સાહેબે ફિલ્મ નહિ, કેન્વાસને જ બોલતો કર્યો છે. કેટકેટલા રંગો સ્ક્રીન પર પથરાયા કરે અને જરાય આંખને ન વાગે. 

અને મોસ્ટ એડોરેબલ, તબુ. ભારતીય પોશાકમાં એ ધગધગતા સૌન્દર્યને ઉજાગર કરે છે. ફિલ્મમાં કઈ કેટલીય રસઝરતી ક્ષણો છે જેનું પીક્ચરાઈઝેશન એમ.એફ. ના મિડાસ ટચને ઉછળી ઉછળીને દર્શાવે છે. તબુનો રોમાંસ, નવાબ સાબનું મનોમંથન, એનો રાઈટર્સ બ્લોક, 'શબ્દ' ફિલ્મના શૌકતની જેમ રીયાલીટી અને ઇમેજીનેશનની વચ્ચેના પાતળા બ્રીજ પર લંગડી રમતા નવાબ સાબ, સુભાષ ઘાઈની જેમ એમ.એફ.નો ફિલ્મના ચાવીરૂપ સીનમાં આવતો કેમિયો, તબુની લસલસતી હૈદરાબાદી જબાન, ગીતોમાં મહર્ષિ પતંજલિ યાદ આવી જાય એવા રચાતા પોઝ... આ બધું ફિલ્મમાં ઠાંસી ઠાંસીને ભરી દીધું છે હુસૈન એ. એ બહાને ભારતીય સંસ્કૃતિનો ધરખમ વારસો આંખ સામે તરવરે ત્યારે હિન્દુસ્તાની દિલ પુરજોશમાં ધબકે છે અને એક જ સવાલ મનમાં અને સ્માઈલ ફેસ પર તરવરે છે- 'આ માણસ અત્યાર સુધી હતો ક્યાં? આ મીનાક્ષી છે કે મેજીક?' 



આ કઈ ફિલ્મ રીવ્યુ નથી.કે નથી આ લખનાર કોઈ વિવે(બબુ)ચક. અહીં ફિલ્મ જોતી વખતે જે થયું છે એજ બયાન કર્યું છે. ફિલ્મ પૂરી થયા પછી તરત તુર્કી દુબઈ જવાનું થયું. ત્યાં આગળ પણ મન ન લાગ્યું એનું કારણ ફિલ્મે જગાવેલી પારાવાર બેચેની હતી, બેચેની હતી કેટલું બધું જોવાનું-જાણવાનું બાકી રહી ગયાની, વર્લ્ડ આર્ટમાં એમ.એફ.ની ગગનચુંબી પ્રતિભાથી સાવ અજાણ રહ્યાની. એ બેચેની ત્યાં ફરીને ત્યાનું બધું જ જાણવાથી થોડે ઘણે અંશે શાંત થઇ. ઘેર આવીને ફરીવાર ફિલ્મ જોઈ અને ખુદા કસમ, કાયમ નવું જ ડાયમેન્શન મળ્યું છે આ ફિલ્મ જોવાથી....સલામ એમ.એફ.હુસૈન (સોરી દાદા, બે જ હાથ છે..)

પાપીની કાગવાણી:
  
ટાઈટલ જેના નામે છે એ ગીત... એણજોય... http://www.youtube.com/watch?v=_ZqEKyZMook 

Monday, September 19, 2011

God - Believe It or Not...!!!

Camerlengo- Do u biliv in God sir?




Robert - Father, i simply biliv that religion..


Camerlengo- I didn't ask if you believe what man says about God. I asked u if u biliv in God.


Robert- my mind tells me i do'nt undrstand God.




Camerlengo- and your heart?


Robert- tells me i m not meant to. Faith is a gift that i yet to receive.
જાણીતો લાગે છે ને આ સંવાદ?ઈંગ્લીશ મુવીઝ્ના રસિયાઓ અને અઠંગ રીડર્સ માટે આ ડાયલોગ અજાણ્યો નથી.જેને GK વધારવું હોય એ નોંધી લો કે આ ડાયલોગ "એન્જલ્સ એન્ડ ડેમોન્સ "નામની બેસ્ટસેલર નોવેલ અને એ જ નામની બનેલી ટોમ હેન્ક્સની ફિલ્મનો છે.રોબર્ટ એટલે હાર્વર્ડ યુની.નો ભેજું ધરાવતો સિમ્બોલોજીનો પ્રોફેસર રોબર્ટ લેન્ગડન.ફિલ્મ અને નોવેલ,બેય જોવા-વાંચવાલાયક છે એવી પર્સનલ રીમાર્ક છે.મુખ્ય મુદ્દો ફિલ્મ તો નથી જ.,નોવેલ પણ નથી.મુદ્દો છે ગોડનો,એના પર નિર્ભર રહેતા કરોડો લોકોનો,એના અસ્તિત્વને નકારતા ચિંતકો-નાસ્તીકોનો,મંદિરો પર વારે તહેવારે ધક્કામુક્કી કરતા ભાવિકો-શ્રદ્ધાળુઓનો...શું લાગે છે?ડેન બ્રાઉન [એન્જલ્સ એન્ડ ડેમોન્સના રાઈટર] એ ખાલી પૈસા કમાવા માટે જ બુક લખી હશે?કે એનું લખાણ કોઈ ગુઢ,માયાથી સંતાયેલું,ગર્ભિત તત્વ તરફ ઈશારો કરવાનું માધ્યમ છે? ગોડ,ભગવાન,ઈશ્વર,પરમપિતા પરમાત્મા...બહુ બધા નામ છે.પણ કામ?એક જ.બધાય માટે શક્તિના હણહણતા સ્ત્રોત બની જવાનું,આશાનો સંચાર કરવાનો,અંધકારમાં પ્રકાશનું એક કિરણ આપવાનું...ટુંકમાં,લાઈફને ચેતન આપવાનું..ભગત તો પછી થાય છે..હાહા..દરેકને એમ લાગતું હોય છે કે એને ઈશ્વર વિષે સૌથી વધુ ખબર છે,એણે ઈશ્વર વિષે સૌથી વધુ વિચારી લીધું છે.પણ,ત્યાંથી તો એની સંકલ્પનાઓ સ્ટાર્ટ થાય છે.

સદીઓથી માણસને સવાલ થતો આવ્યો છે કે હું કોણ છું?હું કેમ આવો છું?અને એ સવાલે એક સનાતન ખોજ આરંભી.વેદો,ઉપનિષદ વગેરે એ જુદી જુદી વાતો કરીને એક સર્વશક્તિમાન પાવરનાં અસ્તિત્વ વિષે કહ્યું.તોય જગતમાં આ સવાલ હજી ઉભો જ છે કે શું ખરેખર ઈશ્વર છે?નોબડી નોઝ.પણ હા,પુરાવાઓનો પાર નથી એમ તર્કોનો પણ પાર નથી.કોઈ સાળંગપૂરનું ઉદાહરણ આપે તો કોઈ વોલ્કેનિક ઈરપ્શનનું.આખરે ગોડ છે શું?શું એ કોઈ અનલીમીટેડ પાવર્સ વાળો કોઈ માણસ હશે?કે પછી આપણે માણસ છીએ એ પણ એક સપનું છે?સમય પસાર થાય છે કે આપણે દોડીએ છીએ?બધું જ રીલેટીવ છતાય બધુંય તદ્દન અભિન્ન,અળગું.કૈક હાર્મની,કૈક એવું સિંક્રોનાઈઝેશન છે જે આપણા સમયને ગ્લોબલ બનાવે છે,કૈક તો એવું છે જે આપણને એક મોટી ઘટના કે બનાવના સાક્ષી તો કોઈ મહાન કામના આદ્ય પ્રણેતા બનાવે છે.આ બધું લખાયા કરે છે એ શું રીડીંગનો પ્રતાપ છે કે કોઈ અગમ્ય,મિસ્ટીરીઅસ પાવર મારી પાસે લખાવે છે?આ શબ્દો જયારે તમારી આંખો અને તમારા માઈન્ડ સુધી પહોચશે ત્યારે એમાં જે અસર થશે એ કોણ હેન્ડલ કરે છે?કોઈ વક્તા જયારે શબ્દોની માયાજાળ રચીને આપણને મંત્રમુગ્ધ કરે ત્યારે કઈ વસ્તુ આપણને એના તરફ ખેચી રાખે છે?હા,એ છે રહસ્ય.મિસ્ટરી.કૈક છૂપું હોય તો સાલી એના તરફ દોડવાની,એને અનકવર-અનાવૃત્ત કરવાની મજા આવે છે.આ માનવસહજ સ્વભાવછે.કોઈ ગમતી ચુલબુલી ફૂલ ડ્રેસમાં હોય અને વરસાદ આવે ત્યારે ચપોચપ ચોટેલા ડ્રેસને જોવાની મજા એ જ છોકરીને બીકીનીમાં જોવાથી ન આવે.કેમ?ઢંકાયેલું છે એટલે.વાદળોની પાછળ સંતાકુકડી રમતો સુરજ એટલો દઝાડતો નથી કેમકે એ કવર થઇ ચુક્યો છે.ઉઘાડેછોગ કવર થયેલી વસ્તુ જોતી દુનિયા સૂર્યગ્રહણ તૂટે એની નહિ,ડાયમંડ-રીંગ થાય એની રાહ જોતી હોય છે.બંનેની એક અલગ ભાત છે,એક અલગ મિજાજ છે અને એક અલગ સૌન્દર્ય છે.એમ ગોડ અને ડેવિલ અલગ નથી,બેયનું અલગ પાસું છે જે નોંધવું પડે.

પણ મુખ્ય સવાલ ગોડમાં બીલીવ કરવાનો છે.શું કામ કોઈ એમાં બીલીવ કરે?ભલે લોકોએ તેત્રીસ કરોડ દેવતાઓ ગણ્યા હોય,બધાયનું કામ લગભગ સરખું છે.એ કામ છે હિંમત બંધાવવાનું.આ લખનાર ગોડમાં બીલીવ કરે છે કે નહિ એ એને પોતાને નથી ખબર.પણ હા,લોકોની આશા ટકી રહે એ માટે ચમત્કારો થતા એણે જોયા છે.બદલાવાની જરાય આશા ન હોય ત્યારે ચુટકી બજાકે બદલાયેલા સંજોગો એ મગજ બ્લેન્ક કરી મુકેલું છે.કોમન પદ્ધતિ એ છે કે જયારે લોકોએ પોતાનું કામ પૂરું થવાની આશા સાવ જ મૂકી દીધી હોય ત્યારે જ કૈક એવું થાય છે જે એ હારેલા યોદ્ધામાં હિંમતનો નવો સંચાર કરે છે.ઘણા બધાયના અનુભવો આ વાત સાથે ચોક્કસ મેળ ખાતા હશે.શું આ ગોડના અસ્તિત્વ સામે આંગળી ચીંધે છે?નસીબ,ફેટ,લક...આ બધું શું ખરેખર હોય છે?સવાલો ઉત્તર પણ ધરાવે છે અને એક હદ પછી અનુત્તર થઇ જાયછે.
મેઈન વસ્તુ માણસનો અભિગમ છે.તમે ડિપ્રેસ થયા વગર હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરો તો એ ટળી જવાની છે.પણ હા,કોઈ સાથે કરેલી ગદ્દારી,કોઈનું તોડેલું દિલ,કોઈની જોડે કરેલો વિશ્વાસઘાત,કોઈના બુચ મારેલા પૈસા...ટુંકમાં કોઈ પણ ખરાબ વૃત્તિથી કરેલું કામ ત્યારે તો આભાસી વિજય જ બતાવે છે.પણ,અંદરથી એ માણસને કોરી ખાય છે.જે ડાર્કનેસ અંદર છે એને બહારની લાઈટથી દૂર ન કરી શકાય,એના માટે દ્રઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પબળ જોઈએ."કોન્સ્ટનટાઈન" ફિલ્મ માં કીઆનું રીવ્સ એજ કહે છે."હેલ અને હેવન ક્યાય બીજે નથી.એ હંમેશા આપણી અંદર જ અને આસપાસ જ છુપાયેલા રહેછે."અભિગમ પોઝીટીવ હોવાથી બળ આપોઆપ પેદા થશે.ઈમાનદારી,સચ્ચાઈ,પ્રમાણિકતા આ બધા આદર્શો નથી.રીઅલ વર્લ્ડ સામે ખુમારીથી ઉભા રહેવાના ટેકાઓ છે.એટલે જ સચ્ચાઈના માર્ગે ચાલનારની બરાબરની ફીરકી,ફિલમ બધુંય ઉતરે છે.ભગવાન,ગોડ...આ બધાને યાદ રાખવાથી એક તો નૈતિક હિંમત,આત્મવિશ્વાસ વધે છે અને બીજું એ કે જયારે તમે સફળ થાવ ત્યારે અભિમાન કોસો દૂર રહે છે.રામ કરતા રાવણની તાકાત ઘણી વધુ હતી.પણ નડી શું ગયું?અભિમાન,ઓવર કોન્ફીડંસ.પરીક્ષામાં ઓવર કોન્ફીડંસ રાખનારના માર્ક પણ ધોબીપછાડ જેવા હોય છે.બસ અહી જ ગોડ વિષે થોડું મળે છે.ગોડ છે ક્યાં?અભિમાન ન કરનાર માં,ત્રણ ચાર વર્ષના ખીલખીલાતા હાસ્ય માં,સમુદ્રની લહેરો પર ચાલ્યા જતા વયોવૃદ્ધ કપલમાં,પ્રિયજનની સ્નેહ નીતરતી આંખોમાં,સંતાન માટે ઉજાગરા કરતા માં-બાપોના થાકમાં...

દોસ્તો,ગોડને શોધવા ન જશો,અહિયાં જોઈ જુઓ જરા,ક્યાંક તમારો ગોડ ડોકિયા નથી કરી રહ્યો ને?


પાપીની કાગવાણી : 

શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શું જરૂર?
કુરાનમાં ક્યાંય પયગંબરની સહી તો નથી...જલન માતરી



  



  

Monday, June 6, 2011

Spiritualism માને અધ્યાત્મ માને અંધત્વ

વેલ,હેવી ટોપિક સમજીને જાતને બોર કે ઠળિયા જેવી ન ગણતા,કેમકે આ સબ્જેક્ટ તમારી અંદર પણ છે જ.લોહીની સાથે,વિચારોના ઘૂઘવતા સમંદરમાં વિદ્યમાન છે.હજારો વર્ષોની પરંપરા એ આપણામાં પલાયનવાદ રૂપે એનું ઘડતર આપણા સૌમાં કર્યું છે.આત્મા અમર છે અમર છે અમર છે.મારું શરીર મરી ગયા પછી મારા આત્મા ને શું બેંકમાં ડીપોઝીટ કરવા માટે રાખવાનો છે?જરા યાદ કરો એ સ્થળ,જેને સ્મશાન કહેવામાં આવે છે, સ્ત્રીઓ બાળકો માટે હજી સુધી વર્જિત છે એવા એ ક્ષેત્રમાં કોઈ નજીકના દુરના સ્વજન-મિત્ર વગેરેને બાળવા[હા એમ જ..વેવલાવેડા સિવાયની વાત થાય છે!] ગયા હો છો ત્યારે બળતી ચામડીના લોંદામાંથી હાડકું ખરી પડે છે ત્યારે કયું અધ્યાત્મ,કયું પ્રવચન,કયો બાપુ-બાવો,કયો સંપ્રદાય આડો આવે છે એ જાતને પૂછ્યું છે ક્યારેય?આટલા ક્ષણ-ભંગુર દેહને ઉપવાસો કરી કરીને એટલું નમાલું બનાવી દઈએ છીએ કે આ શરીર મર્દોને બદલે સુંવાળા,પોતાના જ પેશાબમાં થુંકી પણ ન શકનારા, થોડીક ઠંડી વધે ત્યાં બાટલા ચડાવવા પડે એવા ક્યુટ ક્યુટ અમેરિકન દેશી બેબીઝ જથ્થાબંધના ભાવે પેદા કરી દે છે.'બાબાને RO નું જ પાણી પીવડાવવું પડે છે.' હા,કેમકે બાબાને તો ઓલા બાબાની બનાવેલી દેશી દવાની આડઅસર થાય એટલું "બળવાન બોડી" છે.

અધ્યાત્મ કઈ જાદુટોના નથી.એની આયુર્વેદની જેમ ધીમી પણ મક્કમ અસર છે.એ માણસને પહેલા અંદરથી ઠીક કરે છે,પછી બહારથી.જે માણસ અધ્યાત્મ અને ધર્મને મિક્સ કરે છે એના આંટા ઉંધા ફરે છે કેમકે અધ્યાત્મ મનને સ્પર્શે છે જયારે ધર્મ દૈહિક ઉન્નતી તરફ નિર્દેશ કરે છે.એક બાવો ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે તમે જ તમારા ઉદ્ધારક બનો,જયારે બીજો બાપુ ડાહી ડાહી શિખામણો આપીને માનસિક ડાયાબીટીસ કરાવી દે છે.સરવાળે,કોઈનું ભલું થતું નથી ને પ્રજા મહ્ઝ ગધેડાની માફક ડફણા વગર માનતી નથી.અહી શેરીના નાકે તમને ઉપનીષદોના નામે કોર્નર પર માવો થૂકીને ઘરમાં જોહુકમી ચલાવતા ખડૂસ વૃદ્ધો પણ મળી રહે છે અને કચરો વાળતી કોઈ દાદી ચુલા અને લાકડાનો કાર્ય કારણનો સંબંધ વગર પૂછ્યે સમજાવી શકે એટલું અધ્યાત્મ સામાન્ય લોકોના લોહીની સાથે દોડી રહ્યું છે.

તેત્રીસ કરોડ દેવતાઓમાંથી દરેક જ્ઞાતિને પોતપોતાના હીરોની મૂર્તિ ઈઝીલી અવેઈલેબલ છે એટલે સમય[/સમસ્યા] આવ્યે પ્રજા શાહમૃગ કરતાય વધુ ઝડપે પોતાનું મોઢું કાન સહીત બોરવેલમાં ખોસી દે છે કેમકે જીભ તો એમેય પહેલેથી બંધ છે ને...અધ્યાત્મ મન શાંત કરે છે,ધર્મ જીભ-હાથ જેવા અવયવો શાંત કરે છે.ગુજરાતી પ્રજાનો મૂળભૂત ધર્મ જો કે પૈસા અને પ્રસિદ્ધિ છે એટલે એટલીસ્ટ એ મામલે આ લોકો ઝનુની તો છે.ફોર અ ચેઈન્જ,ઉપવાસની જેમ એ લોકો ધર્માદો કરી લે છે.[ફોટા ન્યુઝ સાથે જ હો...!] આટલું અધ્યાત્મ જ ખબર છે ભારતની જનતાને..તોય તત્વમસી એ કઈ સીધોસાદો શબ્દ નથી..સમગ્ર પ્રજા કોઈક અદ્રશ્ય તાંતણે બંધાયેલી છે.કોસ્મિક હાર્મની અહીં જીવતા જાગતા માણસો અબુધ રીતે ફોલો કરે છે.વિદેશની ધરતી પર કોઈ ભારતીય મળે ત્યારે તું બેંગોલી,હું ગુજરાતી જેવો અહંકાર 'હું પણ ભારતીય'ના શેઈક હેન્ડમાં ઓગળી જાય છે...અને આ જ મેજીક છે કે ભારતીય અધ્યાત્મ[દરેક અર્થમાં] નેચરને પ્રાધાન્ય આપે છે...પછી એ પ્રકૃતિ હોય કે સ્વભાવ હોય...ઇટ રીઅલી રોક્સ ડીપલી સમવ્હેર...

પાપીની કાગવાણી:

ક: ત્વં?[તું કોણ છે?] જવાબ= તત્વમસી[તું એ છે.]
   

Friday, June 3, 2011

Thought- વિચાર - ઘૂઘવતા સમુદ્રની મઝધારે થતી મુંઝવણ

વિચાર એટલે શું?કશુક કરવા માટેની પૂર્વતૈયારીનું માનસિક ચિત્ર?એમનેમ લાગણીઓને લીધે ચડતી ઘૂરી?જવાબ આસાન નથી કેમકે એને માટે પણ વિચાર કરવો પડે.મુદ્દો છે વિચાર કરતી વખતે થતી પરિકલ્પનાનો અને ખુલ્લી/બંધ આંખોથી થતી વિઝનીક ઉડાનનો.મન વિચાર નામના કોન્કોર્ડ પ્લેન પર સવાર થઈને ચુટકી બજાકે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી જાય છે.વિચારની તાદાત દૈનિક બે હજાર જેટલી હોય છે એવું સ્વ.નીરુબહેન અમીન કહેતા.દરેક વિચાર કઈ રીતે ક્યાં અસર કરે છે એની ખુદ વિચાર કરનારને પણ ખબર નથી હોતી.દરેક વિચાર મગજને જરૂરી નથી લાગતો હોતો.અને એટલે જ ક્યારેક જ કોઈ વિચાર આઈડિયા બને છે અને 'ક્લિક' થાય છે,આ પ્રક્રિયા બહુ જ જટિલ છે.વિચારનું ઉદ્ગમ ક્યાં છે એ હજી સુધી કોઈ નથી જાણતું. ઘણીવાર વિચાર ઉછીનો હોય છે અને સમગ્ર વ્યક્તિત્વને અસર કરી જાય છે ત્યારે એમાંથી એક નવું જ વ્યક્તિત્વ બને છે જે આભાસી હોય છે.કેમકે એ આગલા ઉછીના વિચારની અસર તળે બન્યું છે.શું આવા માણસને આપણે જીવંત રોબો કહીશું?

સામાન્ય ભાષામાં સમજીએ તો વિચાર જ્યાંથી પણ પ્રગટ થાય છે એ  મગજ/મન ટ્રાન્સમીટર છે.ત્યાંથી વિચાર ટ્રાન્સમિટ થાય છે અને સમગ્ર વિશ્વચેતનામાં છવાઈ જાય છે.રોજના આવા હજારો કરોડો વિચાર એક યા બીજી રીતે માણસને પ્રભાવિત કરતા રહે છે.એમાંથી મોટાભાગના વિચાર શરીરની ફિલ્ટર સિસ્ટમ ચાળી નાખે છે.કોઈ પણ સર્જન એક રીતે વ્યક્તિના પોતાના જ્ઞાન-બેઝ અને આવી વૈશ્વિક ચેતનાના આંદોલનને આભારી હોય છે.વિચાર,સૌથી વધુ અવરોધક અને જળો કરતા પણ વધુ સજ્જડ રીતે ચોંટી જતો પરોપજીવી છે.[સૌજન્ય :ઇન્સેપ્શન] એકવાર એ મગજમાં ઘુસી ગયો,છાલ પણ નથી છોડતો.સામાન્ય રીતે ડ્રીમલેસ ઊંઘ કોઈ નોર્મલ માણસને નથી આવતી.પણ જો એ આવવાનું શરુ થાય તો એને પણ સાઈકોલોજી ગરબડીનું સુચક ગણે છે.ક્યાંક તમારી સબ-કોન્શિયસ ડીફેન્સ નબળી છે એનું આ એલર્ટ સિગ્નલ છે.ડીટ્ટો વિચારશૂન્યતા.  ડીપ્રેશનની અસર હેઠળ આવું થતું હોય છે.કોઈ સ્વજનથી વિયોગ,કોઈનું મૃત્યુ એટસેટરા...કશુક વાંચ્યા પછી જો વિચારશૂન્યતા આવતી હોય તો એ સારું છે કેમકે બ્રેઇન-સ્ટોર્મિંગ સ્ટાર્ટ થયા પહેલાની એ શાંતિ છે.કશુક કાને પડી જાય અને દિલોદિમાગ તરબતર થઇ જાય કે ઝક્ઝોરાઈને બધું મૂંગું-મંતર થઇ જતું હોય તો એ જાત સુધરવાની નિશાની છે.અને ઓફિસમાં કામ વગર બેસી રહેવું પડતું હોય તો એ જોખમકારક છે.

આવું થાય ત્યારે પોતાની અંદર ઝાંકતા રહેવાની ટેવ ફાયદો આપી શકે.વિચારશૂન્યતા પોઝીટીવ હોય કે નેગેટીવ,બહુ વાર રહેવા દેવાય નહિ.મગજ પોતે જ કશુક કરવા ટ્રાય કરે છે.અને જયારે એમાં એ ફેઈલ જાય છે ત્યારે શરીર પર એની અસર વર્તાવા લાગે છે.પોતાના જુના શોખને જગાડો,ઢંઢોળો અને જરૂર પડે લાત મારીને ઉઠાડો.રાઈટર થી લઈને કોર્પોરેટ એક્ઝીક્યુટીવ્સને આવી વિચારશૂન્યતા/બ્લોક/ડીપ્રેશન બધું જ અથવા કોઈ પણ એક લાગુ પડી શકે છે.આ મામલે ઉપનિષદ સરસ ઉકેલ આપે છે.'સવાલો પૂછવા કરતા તું જ તારો જવાબ બન.'



પાપીની કાગવાણી: 


એક ઘડી ભર નો ઉજાસ, અને ખાલીપો.
કલાકો નો અંધકાર, અને ખાલીપો.


થોડો સ્વાદ, થોડો આસ્વાદ, એક મીઠો સાદ ,
અને ખાલીપો.
બે ઘડી યારો નો સાથ, અને ખાલીપો.



ઘણું બધું ભેગું થાય, ઘૂંટાય, દબાય, ભીંસાય,
પછી જે મળે એ થોડો ધૂંધવાટ અને ખાલીપો.


થોડી સફળતા ની મજા અને ખાલીપો
થોડી નિષ્ફળતા ની સજા, અને ખાલીપો


હવે કોઈ પૂછશે આ કવિતા એટલે શું? 
આ રહ્યો જવાબ,
થોડા ગાંડા ઘેલા શબ્દો અને ખાલીપો...

-પ્રશમ ત્રિવેદી

Wednesday, March 16, 2011

Colors of rainbow, Colors of life..."વાયોલેટ"

વેલ વેલ, કલર સીરીઝનો આખરી કલર,વાયોલેટ.જાંબુનો અંદર નો ગર અને ટી શર્ટ આ બેય તરફ,ખેચાણ અનુભવાય તો એ કઈ ખોટું નહિ.પોઈઝનસ આભા ધરાવતો આ રંગ કઈ ખરેખર ઝેરીલો નથી.શીત પ્રકૃતિ વાળી વસ્તુઓ,પાંદડા,ફૂલો વગેરે વાયોલેટ છે.ડેસ્કટોપ સ્ક્રીન પર વાયોલેટ કલરની પાંખડીઓ વાળું ફૂલ એકલું હોય તોય જાણે સ્ક્રીન અધુરો નથી લાગતો.વાયોલેટ કોફી-મગ કુલ મિજાજ બતાવે છે કે અંદરુની  ગરમાટો?દિવસે અને રાત્રે બેય ટાઈમ એ પહેરી શકાતા કપડાઓમાં આ રંગ કોમન છે.રોયાલીટી અને સાદગી,બેયનું મિશ્રણ એટલે આ રંગ.કલર સ્પેક્ટ્રમના બીજા બ્રાઈટ કલર્સ સામે એ જરા ડલ પડે છે,પણ વાયોલેટ સાડી હોય કે ડ્રેસ, સ્ત્રી એમાં હંમેશા આકર્ષક લાગે છે.અત્યારે બજારમાં બહુ જોવા મળતી કાળી દ્રાક્ષને પીસીને જુઓ તો વાયોલેટનો ઘેરો શેડ જોવા મળે છે.ઠંડી,મદહોશ કરાવે એવી,નશીલી વાયોલેટની પ્રકૃતિ છે.

વાયોલેટ ઓરા ધરાવનાર વિઝનરી વિચારધારા રાખે છે.આપણા સહસ્ત્રાર ચક્રનો રંગ વાયોલેટ હોય છે.ઈશ્વર સાથે કનેક્શન સ્થાપવાનું પહેલું પગથીયું એટલે વાયોલેટ કલર.ચર્ચના પાદરીઓ "ઝાડફૂંક" નામની ક્રિયા કરતી વખતે ગળા ફરતે વાયોલેટ કપડું વીંટે છે.ઓન ધ નેમ ઓફ ક્રાઈસ્ટ કહીને શાપિત વ્યક્તિને સાજા કરવામાં મદદ કરે છે.કલર સ્પેક્ટ્રમમાં આ કલર જરાતરા હિડન રહેતો હોય છે.ડીટ્ટો ઈશ્વરની જેમ.આપણને લાલ રંગની શક્તિ,લીલા રંગની શાંતિ અને પીળા રંગની ગરમી જ દેખાય છે કેમકે એ પ્રભાવી છે લાઈફમાં.બાકીના રંગો દેખાતા હોવા છતાંય આટલા રંગો જ ધ્યાન ખેંચતા હોય છે.અને એમાં માણસનો કોઈ વાંક જ નથી.પણ,સાલી લાઈફમાં આટલા રંગો જોવાનોય ટાઈમ છે?થીંક ફોર 2 મિનીટ્સ...

પાપીની કાગવાણી:

Don't become LATE while reaching towards VIOLET... ;) 

Colors of rainbow, Colors of life... "ઇન્ડીગો"

ઇન્ડીગો તો કારનું નામ નહિ? યેસ્સ, વાત તો સાચી  છે.પણ,એનું મૂળ સુત્ર "ઇન્ડિયા ગો" હતું. ઇન્ડીગો એટલે ગળી કલર. રંગ જોતા એવું લાગે કે ભૂરા રંગે ખટાશ પકડી લીધી છે. સંબંધોમાં પણ ક્યારેક ખટાશ આવે છે જ ને? ને પછી આવે છે હૃદયને દર્દથી ભરી દેતો ઇન્ડીગો કલર. ધરબાયેલો ગુસ્સો પણ આ જ કલરનો હોય છે. ડંખીલા મનવાળા લોકોનો ગુસ્સો આવો જ હોય છે. દિલને સતત કુરેદ્તો ગુસ્સો અને ઘાવ,બેય માણસને જંપવા દેતા નથી. આની પાછળ રહેલી બાબત સાવ નાની હોય છે. અદ્દલ વ્હાઈટ ડ્વાર્ફ સ્ટાર જેવી. એ પણ આછા ગળી કલરનો હોય છે જયારે આ પરિસ્થિતિ માં આવે છે. બાહ્ય સપાટીનું તાપમાન હજારો ડીગ્રી સેલ્સિયસ હોય છે. હવે ફીઝીક્સમાં આવું હોય તો સાઈકોલોજીમાં તો કેવું ને કેવું હોય.

એકઝેટલી, મનના કડાકા ભડાકા જીવ ખાતા હોય ત્યારે કલર્સ એકબીજામાં ભળી જતા હોય છે.જેલસીનો લીલો,ગુસ્સાના લાલ-પીળા, અને છુપા રહેલા ગુસ્સાનો ઇન્ડીગો કલર. છુપો ગુસ્સો;વ્યક્ત થતા ગુસ્સા કરતા વધુ ખતરનાક હોય છે. દુર્યોધન, કૈકેયી બહુ બધા ઉદાહરણો છે. વ્યક્ત થતો ગુસ્સો ક્ષણજીવી હોય છે જયારે છુપો ગુસ્સો લાંબા ગાળા સુધી સસ્ટેઈન થતો હોવાથી જખ્મો આપે પણ છે અને અપાવે પણ છે. ઇન્ડીગો કલર સ્ટ્રોંગ અંત:સ્ફુરણા બતાવે છે. ધગધગતી તાકાતને સાચવી રખતો કલર સમય આવ્યે એનું ઉત્સર્જન કરે છે ત્યારે કા તો સર્જન થાય છે,કા વિનાશ થાય છે. ડીટ્ટો શિવજીના ત્રીજા નેત્રનું છે. અસીમતાનું સુચક છે આ રંગનું સ્પેક્ટ્રમ. સ્પીરીચ્યુઅલ એક્સ્ટ્રીમ તરફ જતી રાહ પર આ અંતિમ પડાવ છે. આ પણ આજ્ઞાચક્રની અંદરના ત્રીજા નેત્રનો સુચક રંગ છે. વિશિષ્ટતા, કશીક વધુ શક્તિ,ગુઢ અને ન સમજાયતેવી તાકાત અને દ્રષ્ટિ ઇન્ડીગો અને એની પછીનો વાયોલેટ કલર ધરાવે છે. ભૂતકાળમાં પોતાની જાતે સળગી જતા લોકોમાં અગ્નિ પ્રકટ થતી વખતે ઇન્ડીગો કલર પહેલા દેખાયાનું નોંધાયેલ છે. ઇન્ડીગો આમ તો ગરમ કલર છે,પણ એ ગરમી ઈશ્વરીય તત્વની છે.સેલ્ફની છે. સોલાર પ્લેક્સસને ઉત્તેજિત કરીને હિલિંગ કરતી રેકી અને એને રિલેટેડ બધી વસ્તુઓ ગરમ હોવાની. ઇન્ડીગો કલર ગરમીની એક્સ્ટ્રીમનેસ બતાવે છે.અને એટલે જ ભક્તિ હોય કે જ્ઞાન હોય,તપવાનું લખ્યું જ છે સાધકના નસીબમાં.

પાપીની કાગવાણી:

ઉગ્ર ગરમી લોઢાને સફેદ બનાવી દે છે, માણસનું દિલ સંજોગોની આગમાં કાળું બની જાય છે. કૈક કરવું જોઈએ એવું નથી લાગતું? 

Sunday, February 27, 2011

Letter to Best Dost, Feeling lost...

સાલા કમીના,

તને કાયમ યાદ દેવડાવવાનું કે તારો એક દોસ્ત છે? એ દોસ્ત જેની જોડે તે ચા ની કીટલીએ અડધી ચા શેર કરતી વખતે એની પણ ચા ગટગટાવી ગયો હતો, એ દોસ્ત જેની શેરવાની પહેરીને તું કોઈકના લગ્નમાં લાઈનો મારવા ગયો હતો, એ દોસ્ત જેની જોડે ફ્રુટ-સલાડના ગ્લાસ પીવાની હરીફાઈમાં તારે એને હાજમોલા ખવડાવવી પડી હતી, એ દોસ્ત જેને તારી જોડે એક પણ વાત,ઘટના,દુર્ઘટના શેર કર્યા વગર ચાલતું નથી, એને જ તું ભૂલી ગયો? એવો તે કેવો જોબમાં પડી ગયો કે એક SMS કે કોલ કરવા જેટલો પણ ટાઈમ નથી? રખડપટ્ટીથી લઈને રીલેશનશીપ સુધી અને મનીથી લઈને મ્યુઝીક સુધી તે કાયમ સપોર્ટ આપ્યો છે એ બધું ભૂલીને તું સાલા આટલો દૂર જતો રહ્યો? 3 Idiots જોઈને તે જ ફોન કરેલો ને કે "યાર આપડું ગ્રેજ્યુએશન આવું જ હતું કા?" તારા માટે છોકરીઓ જોવાનો બાકાયદા હક છે પણ તું જ આઉટ ઓફ કવરેજ રહે તો થઇ રહ્યા તારા મેરેજ. દિલ અને દોસ્ત માટે ટાઈમ દેવા માટે વિચારવાનું ન હોય. ઇવન,તને ખબર છે કઈ કેટલાય સંબંધો જોડવા અને જાળવવા તારી જરૂર છે? આજે દિલની કસક કહી શકાય-શેર કરી શકાય એવી કંપની નથી, મિત્રો તો મળી રહે છે; દરેક જગ્યા એ મળી રહેતા હોય છે...પણ એ ચાર્મ નથી અનુભવાતો.સંબંધો  કૃત્રિમ કૃત્રિમ લાગ્યા કરે છે. હકની ફીલીંગ પ્લાસ્ટીકી પરત જેવી લાગે છે ત્યારે ઝાકળભીના ગુલાબ જેવી દોસ્તી અને દોસ્ત બેય ક્યાંક ખોવાયાની અનુભૂતિ થાય છે યાર.

યાદ છે તને છેલ્લે આપણે છુટા પડ્યા ત્યારે લાઈફટાઈમ કોન્ટેક્ટમાં રહીશું એવી વાત કરેલી? આજે એક SMS  શું, સાલી ગાળ પણ સામેથી માગીને ખાવી પડે છે. કોઈ તબીયતથી ગાળો દઈને ધાર્યું કરાવતું નથી. કોઈ ફોન કરીને 'તારી મુવી ટીકીટ લઇ લીધી છે ને તારા ક્રિટીકવેડા સાંભળવા તને સાથે નથી લઇ જતા સમજ્યો?' આવું નથી કહેતું. ધાબે પંજાબી ખાતી વખતે જીભે બટકું ભરાય છે ત્યારે તારી યાદ સાથે આંખ ડબડબ થાય છે. જીભડી ચા પીતી વખતે દાઝી જાય ત્યારે પહેલા ગાળ સંભળાતી, હવે નથી સંભળાતી. તહેવારોમાં મળીશું મળીશું ની વાતો થાય છે,મળાતું નથી.અને એની તો ફરિયાદ પણ નથી. ફરિયાદ છે એકલા પડી ગયાની, જીવનસફરમાં ભુલા પડ્યાની, ને કાયમ સાથે રહેતો એ સાથ છૂટી ગયાની...

તને પ્લીઝ કહેવાની જરૂર તો છે જ નહિ..પણ તોય સમજ દોસ્ત, આજે તારી જરૂર છે, ઘણી બધી જગ્યા એ. અભી હમે બહુત કુછ કરના બાકી હૈ..એસે તું ચલા જાયેગા તો કૈસે ચલેગા? નહિ હોગા યે સબ તેરે બીના યાર...    

આ બધું કઈ બધાની સહાનુભૂતિ ઉઘરાવવા નથી લખ્યું.આ એટલા માટે લખ્યું છે કે બધાને ખબર પડે કે ક્યાંક એઓ પોતાના દોસ્તની વેલ્યુ સમજવામાં પાછળ નથી રહી ગયા ને? આઈ મિસ યુ યારા, આઈ નીડ યુ....

Friday, February 25, 2011

Colours of rainbow, Colours of life..."બ્લુ"

આજે વારો છે બ્લુ કલરનો...ફીલીંગ બ્લુ ફીલીંગ બ્લુ...પ્યાર કે સાઈડ ઈફેક્ટસ ફિલ્મનું આ ગીત વિરહની વેદનાથી ભર્યું છે.બ્લુ થોડો ગ્લુમી છે અને મનને વ્યગ્રતાથી ભરી મુકે છે.આકાશમાં રહેલી અનંતતા બતાવતો વાદળી કલર બ્લુનો નાનો ભાઈ છે.હમારા બજાજનો લોગો પણ બ્લુ અને યુવાનોમાં જબરી પોપ્યુલર એવી 'ઓલી ફિલ્મો'નો કલર પણ બ્લુ...બ્લુ એટલે કશીક વિશિષ્ટતા,કશુક નવતર.જેમાં ઝાંકીને તમે ખુદ સાથે આપખુદ નથી બની શકતા.જેની હાજરી કશાક ગુઢ તત્વની તમારા પર રહેલી અસરો સૂચવે છે. વિન્ડોઝ નું સ્ટાર્ટ મેનું જોજો. બધી જ એપ્લીકેશન જે બેઝ ટાસ્કબાર પર ખુલે છે એનો રંગ પણ બ્લુ છે. રાજકોટમાં કોઈ દોસ્તારને વર્ષો પછી મળો ત્યારે "આવ ભૂરા આવ" કહેવાય છે.ફિલ્મોમાં નાઈટ સીન બતાવવા માટે બ્લુ શેડનો ઉપયોગ થાય છે.જોબ માટે ઇન્ટરવ્યું આપવા જતી વખતે પ્લેઈન બ્લુ શર્ટ પહેરવાની મમ્મી સલાહ આપે એમાં શું ઇન્ટરવ્યુઅરની આંખને ટાઢક આપવાનું લોજીક હશે? HTML માં બનેલી લીંક બ્લુ માં દર્શાવવા પાછળ શું કારણ હશે? જાલી નોટો ઓળખવા માટે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વપરાય છે એ પણ કેમ ભુલાય? કશીક લીંક બતાવવા મોટેભાગે બ્લુ કલર વપરાય છે.તાત્વિક રીતે જોવા જાવ તો આપણા વિશુદ્ધ ચક્ર(વાદળી), આજ્ઞાચક્ર(રીંગણી) અને સહસ્ત્રાર ચક્ર(વાયોલેટ) ઉપરવાળા જોડેની લીંક જ દર્શાવે છે ને?

"ફીલીંગ બ્લુ" આવો મેસેજ મળતા જ ખ્યાલ આવી જાય કે સેન્ડરનો મૂડ રાયફલમાં ફસાયેલી ગોળી જેવો થઇ ચુકેલ છે. મીસીન્ગની ફીલીંગ બ્લુ જ હશે કેમકે યાદોનું ઝેર દિલને ભુરુભટ્ઠ કરી દે છે. સાપ કરડીને જતો રહે અને સારવાર ન મળે તો હોઠ ધીમે ધીમે ભૂરા થવા લાગે છે. ડીટ્ટો યાદો અને પ્રિયજનમાં આવું જ...યા રબ્બા,દેદે કોઈ જાન ભી અગર,દિલબર પે હો ના કોઈ અસર...દિલમાં વિરહ અને ગુસ્સાનું ઝેર, મીઠી યાદોનું કડવું ઝેર વહે છે.ને વહે છે પેલા આંસુ, કેમકે ત્યારે કુદરત તો સહારો આપે જ છે,ભલે દિલી સહારો જતો રહ્યો હોય..ત્યારે થતી કસક અને સિસક, કોઈ નથી સાંભળતું.કમબખ્ત દિલ જો તબાહ થાય છે!! તમાશો તો ફીલીન્ગનો,વિશ્વાસનો થયો છે.અને તમાશો ત્યાં સુધી ચાલે જ્યાં સુધી તમે થાકીને ટુકડા ન થાવ.ટુકડા ભેગા કરવા માટે તો ફેસબુકનો હોમપેજ કલર બ્લુ નથી રખાયો ને? જો કે, કરી પણ શું લઈએ કોઈક પોતાનું, કોઈક ગમતું, રમતું રમતું તમારા દિલ જોડે રમી જાય તો? ચીરાયેલા સ્વપ્નાઓ લઈને એમાં કોમ્પ્રોમાઈઝ્ના સાંધા મારવા કરતા સમૂળગું કાપડ ફાડવું ઓછું દર્દનાક હોય છે.

બસ.

પાપીની કાગવાણી:

હિંમત જીને કે લીયે ચાહિયે, મરને કે લીયે નહિ....(રાઝ-2 ડાયલોગ) 


    

Saturday, February 19, 2011

Colours of rainbow, Colours of life..."ગ્રીન"

ગ્રીન,હરિત,લીલો...આહા આહા...વરસાદ પડ્યા પછીનું ધરતીનું સૌન્દર્ય, લહેરાતા પાકવાળા ખેતરો, ગ્રીન ડ્રેસ કે સાડી પહેરેલી યુવતી...બધા એક જ ફીલીંગ આપે છે.શાંતિની.ઠંડકની.એ અલગ વાત છે કે ખાલી આંખને શાંતિ મળે છે...લોન પર ખુલ્લા પગે ચાલવા નીકળતા લોકો આંખને ઠંડક મળે એવું કહેતા હોય છે,જે સરાસર ગલત છે.ત્રીરંગાનો છેલ્લો કલર લીલો છે જે દેશની હરિયાળી(!)નો સુચક છે. દરેક પાંદડાનો રંગ લીલો હોય છે એનું કારણ ક્લોરોફીલ નામનું તત્વ છે.લીલો શાંતિ,સમૃદ્ધિનો સુચક છે. જીવન કે દો પેહલું હૈ,હરિયાલી ઔર રાસ્તા...બોટલ ગ્રીન સાડીમાં રહેલ યુવતીને ઘરેણાની જરૂર લગભગ પડતી નથી.સૌન્દર્યની પરિભાષાને નવી ઊંચાઈ આપે છે લીલો રંગ.જીમેઇલમાં ઓનલાઈન મિત્રો દર્શાવતા સર્કલ્સ લીલા હોય છે. જોધા અકબર મૂવીનું "જશ્ન એ બહારા" સોંગ ઐશ્વર્યાની લીલી ચુંદડી વગર જાણે કે અધૂરું લાગે છે. લાલ રંગ પુરુષ ચિત્ત છે જયારે લીલો રંગ માદા ચિત્ત છે. અને એટલે જ વેલેન્ટાઈન ડે પર બેય કલરનું કોમ્બો ધરાવતા ગુલાબની આપ લે થાય છે. બુધ ગ્રહનું નંગ પન્ના પણ લીલું હોય છે. "લીલા શાકભાજી ખાજે" આવું મમ્મી વારંવાર કહેતી હોય છે. લીલો એટલે વિકાસ,લીલો એટલે ફળદ્રુપતા, લીલો મીન્સ સમૃદ્ધિ, લીલો મીન્સ પોઝીટીવ વિકાસ, લીલો મીન્સ હર્યુંભર્યું, સમસ્ત ક્ષેત્રે વૃદ્ધિ. રંગીનીયતની મજા એટલે "લીલા". સ્વ.આસીમ રાંદેરી સાહેબની "લીલા" પણ કેમ ભુલાય?

વરસાદ હોય કે પ્રેમ, ભીંજાયેલી ધરતી અને સ્ત્રી બેય ફુલ ફ્લેજમાં ખીલે છે. મસ્તીનું પક્વ સ્વરૂપ એટલે જ લીલો રંગ પકડે છે. સૌથી વધુ આકર્ષક હોય છે લીલા રંગની જામનગરી બાંધણી. એ પહેરીને દીકરી કે બહેન રુમઝુમ કરતીક ચાલે ત્યારે આપોઆપ હાથ ઓવારણાની મુદ્રામાં આવી જાય તો એ લાગણી છે અને એટલે સ્વાભાવિક છે. અને આ જ લીલા રંગની હોય છે જેલસી, ઈર્ષા. પોઈઝનનું ચિહ્ન પણ લીલું જ હોય છે. વિશ્વૃત્તિનું સુચક ગ્રીન છે. અને એટલે જ જન્મજાત ઈર્ષાનો ભાવ લઈને જન્મેલી સ્ત્રીઓ પર આ રંગ વધુ સારો દેખાય છે.મોરનું મોરપીંછ પણ કિનારીએ લીલો રંગ ધરાવે છે. સમૃદ્ધિ અંદરુની અસલામતી પણ લાવે છે કેમકે જેનો આરંભ છે એનો અંત પણ છે જ. અને એટલે જ ઈર્ષા એ એની બાહરી પ્રોડક્ટ છે. સમૃદ્ધિ બાહરી જગતના તડકાથી બચાવે છે પણ સતત એની છાયામાં રહો તો એને ઝેર બનતા વાર નથી લાગતી."યાર આ વખતે તો કોલેજમાં કઈ હરિયાળી જ નથી..." આ વાક્યનો અર્થ કોઈ કોલેજીયનને સમજાવવાની જરૂર નથી. ટ્રાફિક સિગ્નલમાં ગ્રીન એટલે અનુમતિ અને માં-બાપનું ગમતા પાર્ટનર માટેનું અપ્રુવલ એટલે પણ ગ્રીન સિગ્નલ. અને એ રીતે એ ઉલ્લાસનું પણ સુચક ખરું. આવી મસ્ત વસંતમાં ગો ગ્રીન યાર...

પાપીની કાગવાણી: 

લાઈફમાં ગ્રીન સિગ્નલ ત્યારે દેખાય જયારે રેડ સિગ્નલ પર ઉભા રહેવાની ખબર પડે... :)                 

Friday, February 11, 2011

Colours of rainbow, Colours of life..."યેલો"

હવેના લીસ્ટમાં પ્રકાશમાં આવે છે પીળો કલર. યેલો યેલો ડર્ટી ફેલો. આ કહેવત કોણે બનાવી હશે એતો નથી ખબર; પણ હા, આ કલર કઈ ખરાબ નથી. બે દિવસ પછી આવતો વેલેન્ટાઇન ડે પ્રેમના ઘોડાપુરમાં ડૂબેલા યુગલોને નવો ઓક્સિજન આપશે ત્યારે બિચારો આ કલર અને એને ધરાવતા પીળા ગુલાબ બિચારા પડ્યા હશે એક ખૂણામાં, એ રાહ જોઈને કે ઓગસ્ટમાં ફ્રેન્ડશીપ ડે ક્યારે આવે. પણ પીળો કલર આ ઋતુમાં ઉડતી અને પરિણામે ક્યારેક માણસોને એકસીડન્ટમાં ઉડાડતી મસીઓ માટે ફેવરીટ છે. પીળા કલરનું ટી-શર્ટ સાંજે પહેરીને નીકળજો ક્યારેક. ભરતકામ કર્યું હોય એમ મસીઓ ભરાય જશે. આપણો સુર્ય પણ પીળા રંગનો સ્ટાર છે. આપણા શરીરમાં રહેલા બીલીરુબીનનો રંગ પણ પીળો હોય છે. કમળો હોય એને પીળું જ દેખાય આ કહેવત ઘણા અર્થમાં વપરાય છે. પેટમાં જેને વાયુ ભરાયો હોય એની હવા કાઢવા માટે પેલી હવાબાણ હરડેની ગોળીઓની શીશી પણ પીળી હોય છે. પીળો મીન્સ પિત્ત. પીળો રંગ હિલર છે. મૂઢ માર વાગ્યો હોય ત્યારે પેલી હળદર ભરવામાં આવે છે. હળદર પણ પીળી અને પરણવા બેઠતા વરને હૈયાધારણ(!) આપવા એના શરીરે ચોળાતી પીઠી પણ પીળી. યુવતીઓ સુંદર ત્વચા માટે પેલા ચણાના લોટથી સ્નાન કરે છે એ લોટ પણ પીળો. એ કબૂલ કે પીળા રંગના ઘણા શેડ્સ આપણે વાપરીએ છીએ. આજકાલ ફ્લોર-ટાઈલ્સ માટે વપરાતો ફેમસ કલર આઇવરી, પીળા રંગનો જ શેડ છે. પીળો બ્રાઈટ કલર છે એટલે ઘેરા રંગોના બેકગ્રાઉન્ડમાં એ ઝળકી ઉઠે છે. પીળો રંગ ઉષ્મતાનું પ્રતિક છે. લાગણીની હૂંફ, તાવની ગરમી, ગરમીનો મધ્યાહન, બળબળતો બપોર..આ બધું પીળા રંગમાં છે. અને એટલે જ ફ્રેન્ડશીપ જેવા હુંફાળા સંબંધ માટે યેલો કલર સ્વીકારાયો છે. આપણા સહુના ફેવરીટ ભગવાન શ્રીકૃષ્ણના પીતામ્બરનો રંગ પણ પીળો છે. સંબંધમાં ઉષ્મા ન હોય તો એ રીલેશન ન રહેતા કર્ટસી બની જાય છે. 

એ ઉષ્મા એટલે? યાર-દોસ્તને રાતે ઉઠાડીને બસ સ્ટેન્ડે બોલાવવો એ? કે પછી કઈ જ બોલ્યા વગર પ્રિયજનને અપલક તાકી રહેવું એ? કે પછી મમ્મીનાં ખોળામાં માથું મુકીને ચુપચાપ સુઈ રહેવું એ? કે પછી પપ્પાને વધુ આરામ મળે એ માટે ડોક્ટરને ખાનગીમાં વધુ આરામનું જ કહેજો હો સાહેબ, નહીતર આ ઉઠીને ઓફિસે ચાલવા માંડશેએવું કહેવું એ? કે પછી ચાની ચુસ્કીઓ લેતા લેતા ગાઢ દોસ્તને હું તો તારા જ પનારે રહીશ જા, થાય તે કરી લે આવું કહેવું એ? આ બધી જ સ્લાઈસ ઓફ લાઈફ દિલની ઉષ્મા છે, હૂંફ છે. શિયાળાની થરથરાવતી ઠંડી પછી નીકળતો સવારનો પીળો તડકો જેટલો મીઠો લાગે, એટલી જ મીઠી આ મોમેન્ટ્સ છે. મીઠે સે યાદ આયા, આપણો પેલો સદાબહાર ટોપરાપાક પણ પીળો અને સોનપાપડી પણ પીળી. રસ્તા પરની સ્ટ્રીટલાઈટમાં સોડીયમ લેમ્પનો પ્રકાશ પણ પીળો અને ઘરે રહેલા 40 વોટના બલ્બનો પ્રકાશ પણ પીળો. ગુસ્સાથી લાલપીળો એવો શબ્દપ્રયોગ ગુજરાતી અને હિન્દી બેયમાં છે. ઈંડામાંથી નીકળતી જર્દીનો રંગ પણ પીળો અને કેસરને દુધમાં નાખો ત્યારે છુટો પડતો રંગ પણ પીળો હોય છે. ફેવીસ્ટીક ગ્લુ ના ઢાંકણાનો રંગ પણ પીળો છે. ભારતભરમાં STD બુથનો રંગ પીળો સિલેક્ટ કરવામાં આવ્યો છે. RTO એ ટેક્સી પાસિંગ ધરાવતી ગાડીઓની નંબર પ્લેટનો રંગ પણ પીળો રાખ્યો છે.અને અબોવ ઓલ, ફેસબુક-ટ્વીટર-ઓરકુટ-યાહુ પર હોટ ફેવરીટ એવા સ્માઇલીનો રંગ પણ પીળો છે.ખાવા પીવાના(!) મામલે કેરી,પપૈયો,લીંબુ,આંબા હળદર,મોતીચૂરના લાડુ,બુંદીના લાડુ,મેક્ડોવેલની બોટલનું સ્ટીકર પણ ઘાટું પીળું અને સ્ત્રીઓના ફેવરીટ એવા સોનાના ઘરેણાં પણ પીળા તથા એ લોકો કપડા સૂકવે એની દોરી(વરગણી) પણ ઓલમોસ્ટ પીળી...

આ બધું જ સ્થિરતા અને મધ્યમ ગતિ સૂચવે છે.અને એટલે જ મધ્યાહને તપતો સુર્ય સ્થિર લાગે છે.લાઈફમાં પણ માણસ ક્યારેક સ્થિરતા પકડતો જ હોય છે ને?

પાપીની કાગવાણી:

ટ્રાફિક સિગ્નલની પીળી લાઈટ વાહન ચાલુ રાખવાનું સૂચવે છે,રાઈટ? આ ક્યાંક એવું તો નથી સૂચવતું ને કે લાઈફનો ક્લચ હવે પકડવો પડશે???

    

Friday, February 4, 2011

Colours of rainbow, Colours of life..."ઓરેન્જ"

ગતાંકથી આગળનો કલર એટલે ઓરેન્જ,કેસરી,ભગવો,કેસરિયો...વગેરે વગેરે.અરે એમ તરત ભગવો શબ્દ સાંભળીને અભિપ્રાય ન બાંધતા.કેસરી રંગ આપણા રાષ્ટ્રધ્વજમાં પણ છે અને નામ મુજબના કલર વાળા કેસરમાં પણ.ફાગણ મહિનામાં ખાસ ધુળેટી માટે પ્રચલિત  કેસુડો પણ કેસરીછે.કેસરી શબ્દ આમ તો સિંહ માટે વપરાય છે.સિંહ મીન્સ રાજા.ભગવો રંગ જરા ડાર્ક શેડ છે કેસરી કલરમાં.પણ,એ મોટેભાગે આધ્યાત્મિકતા અને હિન્દુત્વનું પ્રતિક છે.એ માર્ક કર્યું છે કે આ પોસ્ટ જે તમે વાંચી રહ્યા છો એ બ્લોગસ્પોટના મેઈન સિમ્બોલનો રંગ પણ કેસરી જ છે?જી-મેઇલમાં પણ આઈડલ સ્ટેટસ માટે લાઈટ કેસરી કલર છે.કશુક સ્થિર,નક્કર કે પોઝીશન માટે પણ આ કલર છે.રણમેદાનમાં કેસરિયા કરતા નરબંકાઓ માટે આ કલર સિવાય એકેય કલર મેચ નથી થતો.

લોહીમાં દૂધ ભેળવો એટલે કેસરી રંગ બને.લોહી શૌર્યનું અને દૂધ શક્તિનું પ્રતિક છે.અને કેસરી એટલે શક્તિ અને શૌર્યનું ધધકતું મિશ્રણ.ધ અલ્ટીમેટ નીડ.પાવર.આંધળી આંખોનું ધ્યાન ખેંચવા માટે પાવર જરૂરી છે.પાવર ટુ સ્પીક,પાવર ટુ રોર.પીગળેલા લોખંડનો રંગ પણ કેસરી અને પૃથ્વીની કોર(જેના પર ફિલ્મ 'ધ કોર' બનેલી) નો કલર પણ કેસરી.કેસરી જેવી કેડ્વાળો અભિમન્યુ ચક્રવ્યુહમાં ઘેરાયા બાદ કેવો લાગતો હતો એનું વર્ણન પ્રેમાનંદ જ કરી શકે.હનુમાનજીને સિંદુરી રંગ સેવાના પ્રતિક તરીકે ગમ્યો હશે?કેસરી એટલે સાત્વિક,કેસરી એટલે દાસત્વ,કેસરી એટલે સત્તા અને કેસરી એટલે શેરદિલ અંદાઝ.ઉર્ધ્વગતિ કરતી કુંડલીની શક્તિ જે સૌથી પહેલા ચક્રને ખોલે છે એ ચક્ર એટલે આજ્ઞાચક્ર.(FYI: સહસ્ત્રાર ચક્ર એ ઓર્ડર મુજબ પહેલું છે,પણ એને ખોલવા માટે ગુરુ આવશ્યક છે.રેકીમાં એ થાય છે.).આ આજ્ઞાચક્રનો રંગ પણ કેસરી છે.

દીવાની જ્યોતને યજ્ઞ-યાગમાં યજમાનના કર્મ રૂપે ગણીને એનું પૂજન થાય છે.દીવાની એ જયોતનો રંગ પીળાશ પડતો કેસરી હોય છે.કેસરી એટલે કર્મઠતા પણ ગણવી રહી.અગ્નિનો રંગ કેસરી છે.યુવાનો જે કેમ્પફાયર કરે છે એનું સેન્ટર આગ હોય છે ને?યુવત્વનું તેજ આ રંગનું ગણાયું છે દોસ્ત.લાલ રંગ જો ઉર્જાનો હોય,તો કેસરી રંગ એ ઉર્જામાં ઠેહરાવનો છે.એ ઉર્જાને રેગ્યુલેટ કરે છે.અહીંથી ભગવા રંગ તરફની યાત્રા શરુ થાય છે.ભગવો રંગ શાંત વીરરસ દર્શાવે છે.આજના આ યુગમાં શાંત બનવું પાલવે એમ નથી.પણ હા,અંદર શાંતિ જોઈશે.એ વગર ગર્જનાની તાકાત ક્યાંથી આવશે?અને એટલે જ 'કેસરી' બનવા માટે કેસરી કલર કુદરતે આપેલો છે આપણા રોરી રેઇનબો માં...

પાપીની કાગવાણી:

કેસરિયો રંગ તને લાગ્યો એલા ગરબા....


માં ના ગરબા પણ કેસરી છે,તો આપણે,એના બાળુડાઓ આપણી અંદરના 'કેસરી'ને કેમ સુવડાવી રાખીએ છીએ?નાચવાની સાથે નહોર મારતા પણ શીખીએ... ;)

Friday, January 28, 2011

Colours of rainbow, Colours of life..."લાલ"

યેસ્સ, ફેસબુક પર કરેલા વાયદા મુજબ આજથી શરુ થાય છે મેઘધનુષ્યના સાત રંગોને ઉજાગર કરતી લાઈફના રંગો પરની લેખમાળા...

આમ જોવા જઈએ તો VIBGYOR એ ક્રમ માં આપણે કલરસીરીઝ ગોખી છે.પણ હા,અહી આપણે ઊંધેથી શરુ કરશું.પહેલો રંગ છે Red,લાલ,રતુમડો...આમ તો મંગલમય વાતાવરણનો સુચક છે આ રંગ.સિંદુર,પાનેતરના શેડ્સ,ગુલાલ વગેરે થી માંડીને સ્વસ્તિક અને ટીશર્ટમાં મોસ્ટ અવેલેબલ ગણાતો આ રંગ ઉલ્લાસ,એનર્જી અને લીડરશીપને દર્શાવે છે.રેડ જાયન્ટ સ્ટારથી લઈને ટ્રાફિક સિગ્નલ સુધી આ રંગ છૂટથી વપરાય છે.લીપ્સ્ટીક થી લઈને બંગાળીઓમાં ફેવરીટ એવો અળતો પણ લાલ જ હોય છે.લોહીનો રંગ પણ લાલ અને આપણી જીભડીનો રંગ પણ લાલ...

લાલ આક્રમકતા અને વર્સેટીલીટીનો સુચક છે.તાજગી અને વિચારોના વાવાઝોડા લાલ રંગી હોય તો બ્લાસ્ટ આપોઆપ આવવાનો."ક્લોક્વર્ક ઓરેન્જ" ફિલ્મના ટાઈટલમાં પણ લાલનો નજીકનો ઓરેન્જ રંગ બતાવે છે પણ,શરૂઆતમાં તો લાલ જ પ્રમુખ કલર તરીકે દેખાય છે.એસ્ટ્રોલોજી મંગળ ગ્રહને લાલ રંગ આપે છે અને લાલ રંગનું જ રત્ન પહેરવું એવું કહે છે.જયારે એસ્ટ્રોનોમી રેડ જાયન્ટ અવસ્થા એટલે સ્ટારના મૃત્યુની આગાહી બતાવતું ચિહ્ન.યેસ,વાત છે લાઈફના લાલ રંગની.જોય અને જેલસીની.ના,જેલસીનો રંગ તો લીલો છે એવું શેક્સપિયર સાહેબ કહી ગયા છે એટલે એ રીતે આમાં નહિ ગણીએ.પણ હા,ઘણા સબંધોનો અંત લોહીયાળ આવતો હોય છે.ખાસ કરીને પ્રેમનો.લાલ ગુલાબથી શરુ થયેલો પ્રેમ ક્યારેક લોહીભીનો બની જાય છે.ના,હિંસાની વાત નથી.દિલના થયેલા ક્રેશની વાત છે.

લોહી ન નીકળીને પણ દિલ રક્તિમ થઇ જાય એ પ્રેમની કઠણાઈ છે.પ્રેમ સિવાય સબંધોમાં પડતી ગાંઠો પણ લોહી બાળે છે.એનાથી નીકળતી વેદનાની વરાળનો રંગ પણ લાલ હોય છે.કેમકે એમાં તમારા આનંદ ઉલ્લાસની ક્ષણોની તડપતી ધૂમ્રસેર હોય છે.સ્વપ્નાઓ માણસને દીવાનો બનાવે છે પણ,જ્યારે એ સ્વપ્ન તૂટે છે ત્યારે એ પણ વીખરાઈને ઘાવમાંથી નીકળતા લોહીની જેમ થીજી જવાના હોય છે.સુર્યની સામે આંખ બંધ કરીને જોઈએ ત્યારે આંખ આગળ લાલ રંગ દેખાય છે.એ શેનું સુચક છે?સિમ્પલી એ કે આંખ બંધ કરીને સુર્ય સામે જોવાનું સાહસ કરી શકો એટલી તાકાત તમારામાં પડી છે.અને માઈન્ડ વેલ,એ સુર્ય તમારી અંદર છે.લાલ રંગ એટલે તો યુવતાનો છે.બી અ રેબેલ.સુર્ય ભગવાન લાલ અશ્વો પર સવાર થઈને આપના માટે સવાર લાવે છે.કેમ લાલ જ?કેમકે શક્તિનો ધસમસતો વેગ તડકો બનીને તમારા માંહ્યલાને હલબલાવે એ સવારની ડીમાંડ છે બોસ્સ.

તો ઉઠો મારા "લાલ", ફીલ ધ રેડ,વર્ક ટીલ ડેડ...

પાપીની કાગવાણી:

સવાર અને સાંજ લાલ હોવાનું કારણ શું?એ દર્શાવે છે કે માણસે એની શરૂઆતની જિંદગીમાં અને પાછલી જિંદગીમાં એક્ટીવ રહેવાનું હોય છે,મધ્યાહને તો જસ્ટ જાળવ્યો જાય તોય થઇ પડે છે...



Tuesday, January 11, 2011

Friend indeed-દોસ્તીનો દિલદારીભર્યો અને દાઝતો દાવાનળ...!!!

ફોન પર અપાતી ગાળો, સજળ નેત્રો સાથે થતી આજીજી,આઠ કલાકના અંતરે રહેતી બે વ્યક્તિઓ,અને મુલાકાતો વખતે થતું એક  ટાઈટ હ્ગ.આ કઈ gf bf ની વાત નથી.આતો દિલદાર દોસ્તની આવતી યાદોનું પરિણામ છે.કાયમ કઈ પ્રેમી-પ્રેમિકા જરૂરી નથી હોતા.ક્યારેક ચાલુ કારમાં રણકતો સેલફોન દોસ્તનો પણ હોઈ શકે.ક્યારેક વેઇટિંગ માં આવતો કોલ અને તરત જ મુકાઈ જતો કોલ પણ એ દોસ્તનો હોય છે જેને તમે દુર-સુદૂર વર્ષો પહેલા એમ કહેલું હોય છે કે ' અરે તારા માટે તો gf કુરબાન યાર...ફોન શું ચીજ છે? ' આ જ દોસ્ત જોડે અડધી ચા શેર કરતી વખતે ઘરની યાદ નથી આવી હોતી કેમકે એની હાજરી જ ઘર જેવી લાગતી હોય છે.અને પછી ક્યારેક જીભ ચા થી દાઝે ત્યારે કશુક ખૂંચે છે.જાણે સમયની વીતેલી એ ક્ષણની કરચ દિલમાંથી દિમાગમાં ભોંકાય છે અને મન ભૂતકાળની ફિલ્મ જોવા ઈચ્છે છે.કિશોરકુમારનું 'ઓ સાથી રે' સાંભળતી વખતે આંખોમાંથી દોસ્તી ટપકે એ સ્વાભાવિક છે.આખરે દોસ્તી એટલે શું?સાથે બેસીને કલાકો સુધી ગીતના સૂર સજાવવા કરેલી પ્રેક્ટીસ?ચાની કીટલીએ થતા ફયુચરમાં મળવાના કારસા?મેસેજ પેન્ડીંગ આવે તો બીજા નંબર પર ફોન કરીને અપાતી ગાળો?કોઈ ફટાકડીને જોઈને એને ભાભી માની લેવાની થતી "શુભ" ઈચ્છા?કે પછી 'સંદેસે આતે હે' ગાતી વખતે સાંભરતું ઘર?કે પછી સારેગામાપા જોતી વખતે સિંગરની ઉતારાતી ફિલમ?કે પછી વેઇટિંગમાં gf હોય તોય એને 'થોડી વાર પછી ફોન કરું તને' એવું કહેવાની ઈચ્છા થાય એ?દોસ્તીમાં આ બધા જ મેજીક પોસિબલ છે.કેન્ટીનમાં બિલ ચૂકવતી વખતે એકબીજા સામું જોતી વખતે જરાય શરમનો એહસાસ ન થાય એ દોસ્તી છે.ખિસ્સા ખાલી હોય ત્યારે બિન્દાસલી 'ચલ એય,આજે તારો વારો છે.ભૂલી ગયો?' કહેવામાં પણ હક છુપાયેલો હોય એવું બને ત્યારે એ પણ દોસ્તી છે.કઈ જ ફાયદો જોયા વિના મુવીની ટીકીટ માટે થીએટરની બારીએ કલાકો સુધી ઉભા રહીને ટીકીટ લીધી હોય,ત્યારે 'ના યાર,આજે મુવી નહિ,આજે ખાવું છે.' આ સાંભળ્યા પછી કાચી સેકન્ડે ફાડી નખાતી ટીકીટોની ઝીણી ઝીણી કાપલી દોસ્તી જ બયાન કરે છે.વાત છે આવા દોસ્તની,અને એની સાથે થયેલા ઝગડાની.ઝગડવું એ પ્રેમી કે પતિ પત્નીનું નહિ,દોસ્તોનું પણ મુખ્ય લક્ષણ છે.ઝગડા થવા એ પણ જરૂરી છે.એ દોસ્તીની ગહરાઈ માપવા માટે જરૂરી છે.પણ,શું ગુસ્સો આવે ત્યારે સ્વીચ ઓફ રાખેલો ફોન રીલેશન તોડી શકે?કાગડોળે જોવાતી મેસેજની રાહ સાલા સમયને પણ ધીમો પાડી દે છે.મનમાં ઉઠતા અનેક ખરાબ વિચારો ત્યારે મોરલની ચટની કરી મુકે છે અને મગજ સતત ચાલતું રહે છે.ઉદાસ મન ત્યારે યંત્રવત ચાલે છે.જાણે કશુક અંદરથી ખાલી થઇ ગયું ન હોય!!!બ્રેકઅપ વગર પણ દર્દ હોય છે દોસ્ત.ઉઝરડા પડેલું મન અને હાથમાં રહેલો નિર્જીવ સેલફોન,બેય જાણે એકાદ લાઈટના મોહતાજ બનીને રહી જાય છે.શું ગુસ્સો એટલો બધો જરૂરી બને છે કે તમે તમારા એ રીલેશન કરતાય ગુસ્સાને વધુ મહત્વ આપી બેસો છો?શું ચંદ મિનિટનો ઝગડો ત્યારે બે દોસ્તો વચ્ચેનો હોય છે કે બે અહમનો?અને જો અહમનો હોય,તો શું એ રીલેશન કરતાય અહં વધુ મેટર કરે છે?થીંક ઓવર ઇટ...

પાપીની કાગવાણી:

દોસ્તી અને દુશ્મની દિલ ફાડીને કરાય...બહુ જ મજા આવે...(જાત અનુભવ. ;) )

Wednesday, December 22, 2010

Spontaneous creations - પુરાણથી લઈને પ્રેઝન્ટ સુધી...

આજકાલ પ્રેઝેન્ટેશન અને રીડીંગ સ્કીલ મુખ્ય ગણાવા લાગ્યા છે.તમે ગુજરાતીમાં થોડું વધુ જાણતા હો તોય કોન્વેન્ટિયા સ્ટુડન્ટસને તમારી ઈર્ષા આવે છે કેમકે તમને એમના કરતા વધુ માર્ક મળે છે.મુદ્દો વાંચન કે ભાષા છે જ નહિ,મુદ્દો છે ઓન ધ સ્પોટ અપ્રોચનો.તમે જે તે વિષયને ત્યારે જ કેવી રીતે હેન્ડલ કરો છો એ વધુ મહત્વનું છે.હા,એ કબુલ કે વાંચન,મનન અને મુવીઝ તમારી જીભડીને વધુ મુક્ત કરે છે,પણ તોય અંતે તો ત્યારે સુઝતી વાતો જ તમારા મગજની ક્ષમતા અને કક્ષા નક્કી કરે છે.

પુરાણોમાં જોવા જઈએ તો એક બે ઉદાહરણો આવા  Extempore ના છે.પહેલું ઉદાહરણ છે શિવ-તાંડવ.રાવણના તપથી પ્રસન્ન શિવજી એ એને અખૂટ શક્તિઓ આપી.ને પહેલો પ્રયોગ એણે કર્યો કૈલાસ પર.ઉપાડ્યો એણે તો.શિવજી એ જોયું,ને પગનો અંગુઠો મુક્યો કૈલાસની ટોચ પર.કૈલાસ નીચે આવી ગયો,પણ રાવણના હાથ એની નીચે દબાઈ ગયા.પીડાના માર્યા રાવણે મુક્ત થવા અને શિવજીના ક્રોધને શાંત કરવા ઝટપટ શિવ-તાંડવ સ્તોત્ર રચી નાખ્યું.એ સ્તોત્રના દરેક શબ્દનું એનાલીસીસ કરો ત્યારે ખબર પડે કે રાવણ પાસે કેવું મજબુત શબ્દભંડોળ અને શીઘ્ર કાવ્ય શક્તિ હતી!!! ઈમરજન્સી એવી હતી કે આજે પણ એક સ્પીડથી નીચે શિવ-તાંડવ ગાઈ શકાતું નથી.

બીજું ઉદાહરણ છે પુષ્પદંતનું.આ ગાંધર્વને રાજા ચિત્રરથના બાગમાં જઈ ફૂલો ચોરવાનું ભારે પડી ગયું.ચોરતી વખતે અદ્રશ્ય રૂપે રહેલા આ ગાંધર્વને શિવજીની પૂજામાં વપરાતા પુજાપાએ પકડી પાડ્યો.બે હાથ જોડીને માફી માંગવા જતા 43 શ્લોકનું શિવ-મહિમ્ન સ્તોત્ર જગતને ભેટ મળ્યું અને ભાઈ સાહેબ માંડ છૂટ્યા.

ત્રીજું ઉદાહરણ વીર સાવરકરનું છે.આંદામાનની જેલમાં એમને કાઈ જ લખવાની છૂટ નહોતી મળી.સમય પસાર કરવા એમણે દીવાલો પર કવિતાઓ લખવી શરુ કરી.દર વર્ષે એ દીવાલો પર ચૂનો ધોળાય એટલે જૂની યાદ કરીને નવી કડીઓ ઉમેરતા જતા હતા.એમ કરતા આખું મહાકાવ્ય બન્યું.

આ યુગમાં પાછા આવીએ તો સેલીબ્રીટીઝના ઇન્ટરવ્યુઝ્માં પણ રેપીડ ફાયર રાઉન્ડ અચૂક જોવા મળે છે.બક્ષીબાબુ જેવા તો એમાં ચામડી ઉતરડાય જાય એવા જવાબો આપવામાં માહેર ગણાતા..જય વસાવડા એ એક સવાલ એમના કાર્યક્રમ "સંવાદ"માં આવો જ એક રાઉન્ડ હતો ત્યારે એમને પૂછેલો.

જય વસાવડા- ગુજરાતી સાહિત્યમાં તમારા ફેવરીટ લેખક કોણ?
બક્ષી-(હસીને) હવે આમાં તો એવું છે કે ગુજરાતીમાં તો...બક્ષી છે.

 
ઘણા આને ફિલોસોફી કહે છે,તો ઘણા સ્કીલ.પણ,એ સર્જન હંમેશા અલગ અને જુદી જ ભાત પાડતું હોય છે.કેમકે એ સાચી રીતે બહાર આવ્યું છે,ઈમાનદારીથી બન્યું છે.ઘણી વાર સંગીતના પ્રોગ્રામમાં ચાલુ ગીતે તબલચી અને સિન્થેસાઇઝર પ્લેયર જે સામસામી જમાવતા હોય છે એ પણ ક્યારેક ઓન સ્ટેજ નક્કી થતું હોય છે.એજ રીતે ચાલુ ડાન્સમાં કોરીઓગ્રાફી બદલી નાખતા અને પ્રેક્ષકોની વાહવાહી મેળવતા કલાકારો પણ એટલા જ ઈમાનદાર હોય છે.ઈમાનદારી જરૂરી છે આવા સ્પોન્ટેનીઅસ સર્જન માટે.અને આવું સર્જન નિજાનંદ વગર બહાર ન આવે.ટેલન્ટ જન્મથી જ મળે છે દરેકને.જરૂર છે એને 'સ્વ' થી લઈને 'સૌ' સુધી ગણવાની અને ગણાવવાની...

પાપીની કાગવાણી:  

એક ઓબ્ઝર્વેશન છે આ પાપીનું કે તમને બીજું કઈ ઓન ધ સ્પોટ બોલતા ન આવડે તોય સાલી ગાળો તો ધાણીફૂટ રીતે બોલાય છે હો. [ભલેને સ્ટેજ ફીઅરનો બાપ તમને હોય તો પણ...હાહાહા]

 

Monday, November 15, 2010

મૃત્યુ

મૃત્યુ,મૌત,મરણ....આ બધા જ શબ્દો કશુક સૂચવે છે.કશુક ખોવાયાની,કશુક મૂળ સોતું ઉખડી ગયાની ફીલિંગ જીરવવી મુશ્કેલ છે.આખું જીવન સાથે ગુજાર્યું હોય અને ચંદ મીનીટોમાં એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે મગજ સુન્ન થઇ જવું સ્વાભાવિક છે.બાપથી લઈને બાળક સુધી દરેક વ્યક્તિ કે જેની સાથે એટેચમેન્ટ હોય,એ દુનિયા મુકીને ચાલ્યું જાય ત્યારે મિસિંગની ફીલિંગ લોહીની સાથે દોડતી હોય છે.પાઈરેટ્સ ઓફ કેરેબિયનનો સરસ ડાયલોગ જય વસાવડાએ એમના લેખમાં ટાંકેલો...So,nobody came because they miss me? સ્વજન અને સંતાન,આ બેના મૃત્યુનો આઘાત અલગ હોય છે.તીવ્રતાની દ્રષ્ટીએ બેય અલગ છે.પણ,કોમન એ છે કે બંનેમાં યાદો આંખોમાંથી ટપકવા માંગતી હોય છે.માતા કે પિતા,એ બેમાંથી એક જો જાય,તો વધુ દુ:ખ થાય છે કેમકે જેને સદાય રોલ મોડેલ કરતાય વધુ ગણ્યા હોય એને ફોટામાં જડાય જતા જોવા,તણાઈને દિનચર્યા માં જોતરાવું,મૃત્યુ પામેલી વ્યક્તિની ભાવતી વાનગીઓ મોઢામાં પડતા જ ખાલીપાની ફીલિંગ આવવી,સદાબહાર બની ગયેલા ડાયલોગ્સ-મુવીઝ-વસ્ત્રો આ બધું જોવાથી થતું પીન્ચિંગ...અસહ્ય બની જાય છે.ડીટ્ટો બાળકના કેસમાં પણ આવું બને છે.ઇવન,માતા અને પિતા માટે સંતાન મૃત્યુ પામ્યાનો આઘાત જુદો હોય છે.સ્ત્રી રડી શકે છે,પુરુષ એટલી ઝડપથી નથી રડી શકતો.આ એક મામલે પુરુષ વધુ લાચાર હોય છે.ધીમે ધીમે એ દર્દ યુઝ્ડ ટુ થતું જાય છે.દર્દ સાથે જીવવાની આદત પડતી જાય છે અને આંસુઓ સુકાતા જાય છે.તિથી,તારીખો યાદ રહે છે ને બક્ષી એ લખેલું એમ "ફોટામાં સ્થિર આંખો કોઈ દિવસ બંધ નથી થવાની અને એ સ્વીકારી લેવાનું છે." મૃત્યુ અલ્ટીમેટ રીઆલીટી છે.પણ,ખાલીપાને લીધે આવતો ઝુરાપો સાલો છાલ નથી છોડતો.ચિરકાળ રહેતી યાદો કાયમ દિલના એકાદ ખૂણામાં ખજાનાની જેમ સચવાયેલી પડી હોય છે અને તક મળે કરંડિયામાંના સાપની જેમ ફૂંફાડા મારતી મનને તરબતર કરી દે છે.મૃત્યુ અને મોન્સુન,આ બે ઋતુ યાદોની હોય છે.સતત વરસતો વરસાદ અને મૃત્યુ પછીનો તન્હા બનેલો રૂમ,બેય ફલેશબેકમાં લઇ જાય છે અને શરુ થાય છે યાદોના ઝંઝાવાત,જેની ગુંગળામણ ક્યારેક ભીંસી નાખે છે.અને બહાર આવે છે ડુસકા,ક્રોધ,ધોધમાર આંસુ અને એ પત્યા પછીનું ચીલ્લાતું મૌન.સાથે મળેલો અને કરેલો પ્રેમ,ઝગડા,નોકઝોંક ત્યારે બાજુ પર રહી જાય છે અને રહે છે પડઘાતા અવાજો અને સ્મૃતીચિત્રો.સ્વજનનું સ્મરણ ત્યારે સતત ધબકતું હૃદયનું અંગ બની જાય છે.કરવું શું ત્યારે?ફાઈટર બનવું પડે છે.સ્પીરીટેડ ફાઈટર બનીને જીવી શકો છો,પણ મુશ્કેલ છે કેમકે આ જ તો સંજોગો છે,બીજાઓને ઝીલી લેવાના અને ઝાલી લેવાના.એક વ્યક્તિ મૂળ સોતા સંબંધોને કાયમ માટે ઉખેડીને ચાલ્યું ગયું છે,બરાબર છે.પણ શું એનાથી જીવતા વ્યક્તિઓને ભૂલી જશો?આસ્ક યોરસેલ્ફ.કદાચ જવાબ મળી જશે.ઝુરપનો અને ખાલીપાનો...

પાપીની કાગવાણી : 

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે...
                                                      -કામિલ વટવા 

Wednesday, November 3, 2010

સત્ય - મનોમંથન કે પિષ્ટપીંજણ?

તબિયત હલાવી દે એવી ધૂમ ખરીદી અને રોનક જોવા મળે છે દિવાળીની સિઝનમાં.અનેકાનેક ચહેરાઓ ચકળવકળ આંખો સાથે કશુક ગોતવા મથતા જોવા મળે છે.હરદ્વાર હોય  કે માણેકચોક,રોનક ધરાવવામાં ગુજરાતીઓ એક્કા છે.બાર્ગેઈન કરવામાં સ્ત્રીઓની હથોટી અને હથોડાગીરી જગજાહેર છે.સમાજની આ વિવિધતા છે.ભારત દેશે તો આ સુત્ર અપનાવેલું છે. Unity in Diversity. વિવિધતામાં એકતા.પાન માવો થુકીને પણ સ્વચ્છતાની વાતો ચરકી શકાય છે અને મૂંગા મોઢે ઝાડું લઈને પણ મંડી પડાય છે,કોમી દંગલમાં મકાનો સળગાવાય છે અને એજ ગલીમાંથી સ્મશાનયાત્રા નીકળે તો આપોઆપ વાહનો રોકી દેવાય છે,જનગણમન સાંભળતા આપોઆપ સાવધાન થવાય છે અને ભગતસિંહની મૃત્યુતિથિ ભૂલાય જાય છે,ટ્રાફિકના નિયમને WTF કહેવાય છે અને માથા ફૂટે ત્યારે ટ્રાફિકના નિયમનને મણ મણની ચોપડાવાય છે....

આ કઈ લવારો નથી.કશુક ખળભળતું ખળભળતું બોલી રહ્યું છે માંહ્યલામાં.આવી બેધારી સમાજરચના તો નહોતી બનાવી આપણે સૌએ.તો પછી ક્યાં કાચું કપાયું?શું માણસ પોતે અધોગતિ તરફ કુદકા મારતો આગળ વધી રહ્યો છે?કે પછી વ્યર્થ નિવેદનબાજીથી જ લોકો સંતોષ લેવા માંડ્યા છે?સાનિયા થી લઈને સોનિયા સુધી લોકો પાસે અલગ અલગ ઓપિનિયન છે અને એ સ્વાભાવિક છે.પણ ડબલ ફેસનો અર્થ શું છે?મહોલ્લામાં કે રોડ પર જતી ચુલબુલી ચીકને જોઇને આંખો વ્રૂઊમ કરતી એના શરીર પર ચોટી જાય છે ને પોતાની બહેન કે ફ્રેન્ડ કોઈ દોસ્ત જોડે વાત કરે એ પણ મંજુર નથી.કેમ?એવું શું આપણે ભૂલી રહ્યા છીએ?એમ એફ હુસૈન ને ગાળો ચોપડનાર મહાભારતના ક્રીએટરની જન્મકથા કા તો ભૂલી જવા માંગે છે કા જાણવા જ નથી માંગતા.સોચ આવી નીચી કેમ થતી જાય છે?ખાલી ઈકોનોમીમાં નહિ,માનસિક લેવલે પણ ગરીબ વધુ ગરીબ બનતા જાય છે અને અમીર વધુ અમીર...સાલો મધ્યમ વર્ગ અહિયાં પણ છે.એને બેય બાજુ લાડવા લેવાની લાલસા છે.ભાડમાં જાય દેશ,આપણે ઓછા કામ છે?અરે યાર,આટલું ઓછું છે કે હજીય દેશ-સમાજ માટે કરીએ?ટાઈમ જ ક્યાં છે યાર?સત્યની વ્હીસલ બોદી થઇ ગયાની કાગારોળ અત્યારની નથી.ગાંધીજીના વખતથી આ બધું ચાલ્યા કરે છે.સત્ય કહેનાર ખાંડાની નહિ, ખાઈની ધાર પર ચાલતો હોય છે.ઓનેસ્ટી હવે એક સોનેરી ખ્વાબ બનતું જાય છે.છોકરો દરેક ગર્લફ્રેન્ડને દિલ ફાડીને પ્રેમ કરશે અને પછી કોઈક સાવ અજાણીને પરણશે,છોકરી ભૂતકાળને એવી હૃદયદ્રાવક રીતે રજુ કરશે કે પતિ બિચારો આર્દ્ર થઈને જ પીગળી જશે,સાસુ વહુ ના ઝગડા માત્ર ઘર નહિ-આજુબાજુ વાળાને પણ ગમવા માંડશે...શું આ ઓનેસ્ટીની નીચતા બતાવે છે?કે નીચતાની ઓનેસ્ટી?સત્ય કેમ આટલું ડાર્ક,આટલું ઝળહળાટભર્યું,આટલું સોનેરી,આટલું કલામય....આટલી મોટી રેન્જ ધરાવતું હશે?બક્ષીએ એકવાર લખેલું,સત્ય શું કાયમ 360 ડીગ્રી જ હોય?શું સત્ય 90 કે 100 ડિગ્રીનું ન હોઈ શકે?શું આ જ સત્યની અંતીમતા છે કે કોઈ એને પામવા જાય ત્યાં સુધીમાં એ ક્ષત-વિક્ષત થઇ જાય? ગાંધી,જિઝ્સ,સોક્રેટીસ...અંતમાં તો જીત્યા જ,પણ અંત સુધીમાં એવા છિન્નભિન્ન થયા કે મૃત્યુ મહાબનાવ ન રહેતા એક ઘટના બનીને રહી ગઈ,જેને અનુયાયીઓએ કલ્પનાના રંગો પૂરી પૂરીને જીવિત રાખી.એ મહાપુરુષોને મૃત્યુ એક રિલેક્સિંગ એકસરસાઈઝ લાગી હોવાની સંભાવના હશે?કે પછી સત્ય એટલે જ ચીર-સ્થાયિત્વ?મૃત્યુ અલ્ટીમેટ રીઆલીટી છે,અગ્રીડ.પણ,સત્યની અનંતતા મૃત્યુની આજુબાજુ ફરે છે કે  સત્ય એટલે જ મૃત્યુ? રામનામ સત્ય મૃત્યુ ટાણે બોલવાનું શું આ જ પ્રયોજન છે કે સત્યની આભા ડાઘુઓના મનમાં વીંટળાય અને જેથી મૃતદેહને થડકાર વિના ઉચકી શકે?કે પછી મૃત્યુ એક સત્યની તીવ્રતાનું માઈલસ્ટોન માત્ર છે?

સત્ય વિષે ગમે એટલું લખો,એ એનાથી તો પર જ છે.માઈક્રો ઓબ્ઝર્વેશન ગાંધીજીનું છે આ મામલે.એમનું વિધાન માર્ગ આપે એમ છે આમાં. " હું એમ નથી કહેતો કે દરેક માણસ જ્યાં ખોટું જુએ ત્યાં તે દૂર કરવા બંધાયેલો છે.પણ હું ચોક્કસ કહું છું કે તે પોતે ખોટામાં ભાગ નહિ લેવા તો બંધાયેલો છે." શું આ સત્યની ચરમતા છે?ઓનેસ્ટી લાગે એવું વાક્ય છે પણ ખોટું અને સાચું એ નક્કી આપણે તો નથી કરવાના.તો એ નક્કી કેવી રીતે થાય?એની દુરગામી અસરોથી?કે તત્કાલીન અસરોથી?ત્યાં સમય ડોકું મારે છે.એ નિશ્ચિત સ્પીડે વહે છે અને દરેક માણસ એને બદલાવાની દિલી તમન્ના રાખે છે.કદાચ સમય જ સત્યની સૌથી વધુ નજીક હોય છે.સમય એટલે?થોડીક ગમતીલી પળો?થોડીક ભયાનક યાદો?કે પછી થોડા હુંફાળા સંબંધો?કે એમાં કમાયેલી પ્રતિષ્ઠા?કે પછી સમય એટલે થોડી કડવી,થોડી ગરમ,થોડી મદમસ્ત,થોડી કંટાળાવાળી ઘૂટન?ભગવાન ઈશ્વર ખુદા ગોડ બધા લાર્જર ધેન લાઈફ સમયને લીધે બન્યા છે.સમય એમને અસર કરતો નથી એવી માણસની કલ્પના છે.જે હોય તે,સત્યનું સૌથી સરળ રૂપ છે ઓનેસ્ટી,દરેક ગમતી જગ્યા એ અને દરેક ન ગમતી જગ્યા એ પણ...

પાપીની કાગવાણી : 
હું આ નિમિત્તની ફિલસૂફીમાં માનતો નથી. એ પરાજયવાદી દર્શન છે.જીવનમાં દરેક વસ્તુ અને દરેક ઘટનાનું પોતાનું એક મહત્વ છે - એ સમયે અને એ સ્થાને ! જીવનની એક ક્ષણનો અનુભવ પણ નકામો નથી...સમગ્ર જીવનના ઘડતરમાં એક ઈંટરૂપે એ ક્ષણ પણ ક્યાંક ફીટ થઈ હોય છે...! હું વાસ્તવ સ્વીકારી લેવામાં માનું છું.ફિલસૂફીનાં ગુલાબી ચશ્માં પહેરીને જુઓ તો આખી દુનિયા ગુલાબી છે એમ બુદ્ધિથી સાબિત પણ કરી શકાય પણ...આમાં વાસ્તવ એક જ છે...કે ચશ્માંના કાચ ગુલાબી છે! - બક્ષી